રાજીવ ગાંધીના હત્યારાઓનો નિર્ણય બંધારણીય સમિતી કરશે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 એપ્રિલ : દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓ જેલમાં જ રહેશે કે છૂટી જશે આ અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે બંધારણીય સમિતિને સોંપી દીધો છે. દોષીઓને મુક્ત કરવા કે સજા આપવી તે અંગેની સત્તા રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને આ અંગેનો નિર્ણય હવે આ સમિતિ કરશે.
નિવૃત્તિના એક દિવસ પહેલા ચીફ જસ્ટિસ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી બેંચે આજે શુક્રવાર 25 એપ્રિલ, 2014ના રોજ સવારે તમિલનાડુ સરકાર દ્વારા આ વી શ્રીહરન ઉર્ફે મુરુગમ, એજી પેરારીવલન અને ટી સંથદ્રારાજા ઉર્ફે સંથનને સમય કરતા વહેલા છોડવાના નિર્ણયની કાયદેસરતાને ચકાસવા તેને સંવિધાન પીઠને મોકલી આપ્યો છે. ત્યાં સુધી ત્રણે ગુનેગારોએ જેલમાં રહેવું પડશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે આ આરોપીઓના સજા માફીમાં વિલંબને પગલે તેમને મુક્ત કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો. જે બાદ તામિલનાડુ સરકારે હત્યાકાંડના મુખ્ય દોષીઓ વી શ્રીહરન ઉર્ફે મુરુગમ, એજી પેરારીવલન અને ટી સંથદ્રારાજા ઉર્ફે સંથનને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
રાજ્ય સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપીલ કરી હતી, જે અંગે કોર્ટ આજે બંધારણીય સમિતિને આખો મામલો સોંપી દીધો છે.
કેન્દ્ર સરકારની દલીલ હતી કે આ કેસની તપાસ સીબીઆઈએ કરેલી છે આથી તેની પરવાનગી વિના રાજ્ય સરકાર દોષીઓને મુક્ત ન કરી શકે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું કે રાજીવની હત્યા ખૂબ ગંભીર કૃત્ય છે અને આ માટે દોષીઓને માફી ન હોઈ શકે.
અગાઉ સુપ્રીમ કોર્ટે 18 ફોબ્રુઆરી, 2014ના રોજ રાજીવ ગાંધીની હત્યાના ત્રણ દોષીઓ મુરુગન, સાંથન અને પેરારિવલનની ફાંસીની સજા રદ કરી દીધી હતી.
નોંધનીય છે કે 21 મે, 1991માં ચેન્નઈ નજીક શ્રીપેરંબદૂરમાં રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અહીંની વિશેષ કોર્ટે આ કેસને ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ એટલેકે પોટા હેઠળ જાન્યુઆરી 1998માં તમામ 26 લોકોને દોષી જાહેર કરતા મોતની સજા સંભળાવી હતી.