સપા - વિહિપ આમને સામને થવાના ભયથી યુપીમાં કડક સુરક્ષા બંદોબસ્ત
અયોધ્યા, 18 ઓક્ટોબર : વિહિપની સંકલ્પ સભાને પગલે અયોધ્યામાં ફરી તણાવની સ્થિતિ સર્જાઈ છે. સભા મુદ્દે વિહિપ અને સપા સરકાર સામ સામે આવી ગયા છે. પ્રતિબંધ છતા વિહિપના કાર્યકર્તાઓ સંકલ્પ સભા માટે અયોધ્યા તરફ પ્રસ્થાન શરૂ કર્યું હતું. જોકે ફૈજાબાદથી જ પોલીસે કાર્યકર્તાઓને આગળ વધતા અટકાવ્યા છે. સમગ્ર અયોધ્યા છાવણીમાં ફરવાઈ ગયું છે. અહીંના ફોરલેન હાઇવેને પણ બંધ કરી દેવાયો છે.
અગાઉ ગુરુવારે પૂર્વ પ્રધાન લલ્લુ સિંહ, વિહિપના પ્રાંતીય પ્રવક્તા શરદ શર્મા સહિત ભાજપ અને સંઘના 337 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. આ ઉપરાંત 42 લોકોને નજરબંધ કરાયા છે. નવા મુખ્ય ગૃહ સચિવ અનિલ કુમાર ગુપ્ત, ડીજીપી દેવરાજ નારગે ગુરુવારે મોડી રાત સુધી અયોધ્યમાં બેઠકો કરી હતી.
અખિલેશ સરકારે સંકલ્પ સભાને પ્રતિબંધ ઉપરાંત ભાજપ અને વિહિપના નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રામસેવકપુરમ, કારસેવકપુરમ, મઠ-મંદિરો સહિત સરયૂ ઘાટની મુલાકાત કરી ગૃહ સચિવે ચેતવણી આપી હતી કે સંકલ્પ સભામાં પ્રવિણ તોગડિયા, અશોક સિંઘલ કે વિહિના કોઈ પણ નેતા આવશે તો તેમને પગ મૂકવા દેવામાં નહીં આવે.