ગઠબંધન તૂટ્યા બાદ શિવસેનાનો ભાજપ પર પ્રહાર!
મુંબઇ, 26 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા આખરે લાંબી માથાકૂટ બાદ એ વાતનો નિર્ણય આવી ગયો હતો કે શિવસેના અને ભાજપ બંને સાથે ચૂંટણી નહીં લડે. બેઠકોની ખેંચતાણમાં આખરે 25 વર્ષની મિત્રતાનો ભોગ લેવાઇ ગયો.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં લખાયું છે કે શિવસેના જ મહારાષ્ટ્રની રક્ષા કરી શકે છે. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેએ એ પણ લખ્યુ છે કે મહારાષ્ટ્રની જનતાની ભાવના અને તેમનું અનાદર કરનારા મહારાષ્ટ્રના દુશ્મન છે. ઉદ્ધવે ભાજપ પર નિશાનો સાધતા લખ્યું છે કે 'જે ઉડી ગયા તે કાગડા હતા અને જે રહી ગયા તે આપણા છે.'
વરિષ્ઠ ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એકનાથ ખડસેએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું, 25 વર્ષ સુધી ચાલનાર શિવસેના-ભાજપ ગઠબંધન તૂટી ગયું છે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ દેવેંદ્ર ફડણવીસે જણાવ્યું કે શિવસેનાના અલગ થવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હતો અને તેને ભારે મનથી કરવામાં આવ્યો.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનવા અને તેમના સહયોગી અમિત શાહના ભાજપ અધ્યક્ષ બન્યા બાદ શિવસેના, ભાજપ એનડીએથી અલગ થનાર આ બીજું ઘટક દળ છે. આ પહેલા હરિયાણા જનહિત કોંગ્રેસ એનડીએથી અલગ થઇ ગયું હતું.