મહારાષ્ટ્રમાં રાજીનામા પછીનો અસલી ખેલ હવે શરૂ થશે?
મહારાષ્ટ્રમાં રાજીનામા પછીનો અસલી ખેલ હવે શરૂ થશે?
મહારાષ્ટ્રની રાજનીતિમાં અચાનક અવનવા રાજકીય સમીકરણ રચાયા છે. સ્થિર ચાલતી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની સરકારમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે દ્વારા મોટો રાજકીય અપસેટ સર્જ્યો છે. 34 જેટલા બળવાખોર ધારાસભ્યોની મદદથી શિવસેનાની સરકાર પાડી દેવામાં આવી અને આખરે મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવાની નોબત આવી છે. મહારાષ્ટ્રનો મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો અને ત્યાં સુપ્રીમ કોર્ટે પણ બે અલગ અલગ બાબતોમાં વિરોધાભાષી નિર્ણય આપી, કાયદા નિષ્ણાતોને પણ ચોકાવી દીધા છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવા 30 જૂનનો સમય આપ્યા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના આદેશને માન્ય રાખતાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. પરંતું, હવે જ મોટો રાજકીય પ્લાન ઉભો થવાની સંભાવના રાજકીય નિષ્ણાતો જોઇ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેના રાજીનામાંના કારણે હવે નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની શક્યતા વધુ જોવા મળી રહી છે. જો, કોઇ નવો ચહેરો જોવા મળે તો પણ હવે શિવસેના સત્તાપક્ષમાં નહી હોય એ નિશ્ચિત છે. નવા મુખ્યમંત્રીને સદનમાં બહુમત સાબિત કરવાની જવાબદારી રહેશે. જેમાં, શીવસેના સરકારની વિરુદ્ધ મત આપવા વ્હીપ આપી શકે છે. જેમાં વિરુદ્ધ જનાર ધારાસભ્યો પક્ષાંતર વિરોધી કાયદા મુજબ ગેરલાયક ઠરી શકે છે. જો, આ તમામ ધારાસભ્યો ગેરલાયક ઠરે તો ભાજપ ફરીથી બહુમતી ગુમાવી દેશે.
ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું ફરીથી શીવસેના સૈનિકોમાં સહાનુભૂતિનું મોજૂ ઉભુ કરી શકે છે. જો આમ, થાય તો આ બળવાખોર ધારાસભ્યોને ફરીથી જીતવું કઠીન સાબિત થઇ શકે છે.
વિધાનસભા સદનમાં ફ્લોર ટેસ્ટ પહેલાં રાજીનામું આપી ઉદ્ધવ ઠાકરેએ મોટી રાજકીય ગેમ ખેલી છે. જેમાં, હવે પક્ષ સામે બળવો કરનાર ધારાસભ્યો સપડાયા છે, તેમની સામે હવે ભાજપમાં પ્રવેશ કરવા સિવાય કે વ્હીપના અનાદર બદલ કાર્યવાહીનો સામનો કરવા સિવાય વિદ્રોહનો કોઇ રસ્તો બચ્યો નથી. જેથી, જો હવે બળવાખોરો શિવસેનામાં પરત ફરે તો નવા મુખ્યમંત્રી બહુમત પુરવાર ન પણ કરી શકે.