જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનમાં તિરાડના સમાચારો પર સિદ્ધારમૈયાએ તોડ્યુ મૌન
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યુ છે કે જેવુ બતાવવામાં આવી રહ્યુ હતુ તેવુ કંઈ નથી અને તે ગઠબંધનની સરકારથી નારાજ નથી.
કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ મંત્રીમંડળમાં સંખ્યાને લઈને, ત્યારબાદ કેબિનેટ પદ અને હવે બજેટને લઈને થયેલા વિવાદે ગઠબંધન સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. જો કે હાલમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયાનું નિવેદન આવ્યુ છે જે બધી રાજકીય ધાંધલ ધમાલ વચ્ચે રાહત આપી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલાના બે વીડિયો આવ્યા બાદ હલચલ મચી ગઈ હતી. જેમાં સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ કે 5 વર્ષ સુધી આ સરકાર ચાલવી મુશ્કેલ છે.
વાયરલ થયેલા વીડિયોને ગણાવ્યો અનૌપચારીક વાતચીત
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યુ છે કે જેવુ બતાવવામાં આવી રહ્યુ હતુ તેવુ કંઈ નથી અને તે ગઠબંધનની સરકારથી નારાજ નથી. સરકારની સ્થિરતા અંગે કોઈ સંશય નથી. સિદ્ધારમૈયાએ પહેલાના વીડિયોમાં કરાયેલી વાતો પર મૌન તોડતા આને એક અનૌપચારિક વાતચીત ગણાવી. તે વાતો અંગે થયેલા હોબાળા પર સિદ્ધારમૈયાએ કહ્યુ, "મે શું કહ્યુ અને શેના વિશે કહ્યુ, એ તમે નથી જાણતા. કોઈની સાથે મારી અનૌપચારિક વાતચીતને રેકોર્ડ કરવી અને તેને સાર્વજનિક કરવી એ તદ્દન અયોગ્ય છે."
"તમે નથી જાણતા મે કયા સંદર્ભમાં વાત કરી હતી"
જેડીએસ-કોંગ્રેસની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા સિદ્ધારમૈયાએ કહ્યુ, "તમે નથી જાણતા મે કયા સંદર્ભમાં વાત કરી છે, કોઈ નથી જાણતુ. એટલા માટે એમાં હું કંઈ કરી શકુ નહિ, અમે ગઠબંધન કરીને ભાજપ જેવી સાંપ્રદાયિક પાર્ટીને સત્તાથી દૂર રાખી. આ સરકાર એક સ્થિર સરકાર છે અને તે અંગે કોઈ સંશય નથી."
સિદ્ધારમૈયાના વીડિયોથી થયો હતો હોબાળો
આ પહેલા સિદ્ધારમૈયાનો વીડિયો સામે આવ્યો હતો જેને લઈને ખૂબ હોબાળો થયો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે વિવાદો છતાં શું સરકાર 5 વર્ષો સુધી સફળતાપૂર્વક કામ કરી શકશે? ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યુ હતુ, "5 વર્ષ!... 5 વર્ષ તો મુશ્કેલ છે. જોઈએ છે, 2019 લોકસભા ચૂંટણી બાદ શું થાય છે. લોકસભા ચૂંટણી સુધી સરકારમાં છે પરંતુ ત્યારબાદ શું થાય છે, જોયુ જશે."