BHUમાં થયેલ વિવાદ પર રાજકારણ ગરમાયું
બીએચયુમાં શનિવારે રાત્રે થયેલ વિવાદ બાદ રવિવારની સવારે લાઠીચાર્જના વિરોધમાં વિદ્યાર્થીઓએ શાંતિ માર્ચ કાઢી હતી, જેમાં બીએચયુના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
બીએચયુમાં શનિવારે રાત્રે યુવતીઓ પર લાઠીચાર્જ થયા બાદ હવે બીએચયુના વીસી પ્રોફેસર જીસી ત્રિપાઠીએ 2 ઓક્ટોબર સુધી રજાની જાહેરાત કરતા વિદ્યાર્થીઓ માટે આદેશ જાહેર કર્યો છે. સૂત્રો અનુસાર, જિલ્લા તંત્રને કહ્યું છે કે, યુનિવર્સિટીની તમામ હોસ્ટેલ કડકાઇપૂર્વક સાંજે 5 વાગે ખાલી કરાવાવામાં આવે. આ આદેશનું પાલન કરાવવા માટે જિલ્લા અધિકારી યોગેશ્વર રામ મિશ્રા અને એસએસપી આરકે ભારદ્વાજ ફોર્સ સાથે બિડલા હોસ્ટેલ પહોંચ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓ હોસ્ટેલની બહાર ધરણા પર બેઠા હતા અને તેમણે હોસ્ટેલ નહીં છોડવાની જિદ્દ પકડી હતી.
બીએચયુમાં વિદ્યાર્થીનીઓ પર થયેલ લાઠીચાર્જની કાર્યવાહીને કારણે રાજકારણનું વાતાવરણ પણ ગરમાયું છે. આ અંગે રાજ બબ્બર અને રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ વ્યંગાત્મક ટ્વીટ કરતા લખ્યું હતું કે, બીએચયુમાં જે થયું એ 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નું ભાજપ વર્ઝન છે.
બીએચયુમાં શનિવારે રાત્રે થયેલ વિવાદ બાદ રવિવારની સવારે લાઠીચાર્જના વિરોધમાં વિદ્યાર્થીઓએ શાંતિ માર્ચ કાઢી હતી, જેમાં બીએચયુના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો. વિશ્વનાથ મંદિરથી થોડે દૂર પોલીસે વિદ્યાર્થીઓને રોક્યા હતા. વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે વિદ્યાર્થીઓને દોડાવ્યા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે, શનિવારે રાત્રે મહિલા હોસ્ટેલમાં પુરૂષ ફોર્સ મોકલનાર વીસી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.