નવી દિલ્હી, 19 મે : લોકસભા ચૂંટણીમાં ભાજપના હાથે કારમો પરાજય ભોગવનાર કોંગ્રેસ પાર્ટીએ આજે નવી દિલ્હીમાં તેની કારોબારી સમિતિની યોજેલી બેઠક પૂરી થઇ છે. જો કે આ બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પર વિશ્વાસ વ્યક્ત કરી હારની જવાબદારી તરીકે તેમના રાજીનામાનો સર્વાનુમતે અસ્વીકાર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની ઓફર કરી હતી, પણ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ તેને નકારી કાઢી હતી. એટલું જ નહીં, સોનિયા, રાહુલની નેતાગીરીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતો એક ઠરાવ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં અમુક નેતાઓના રાજીનામા પડશે એવી ધારણા હતી, પણ એવું કંઈ થયું નથી. નોંધનીય છે કે 16મી લોકસભા ચૂંટણીનું પરિણામ 16 મેના રોજ જાહેર થયું છે. જે અનુસાર 543 બેઠકોમાંથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 બેઠક મળી છે.
પાર્ટીના મુખ્યાલય ખાતે ચાલી રહેલી બેઠકમાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી, ઉપપ્રમુખ રાહુલ ગાંધી, વિદાય લેનાર વડા પ્રધાન મનમોહન સિંહ તથા અન્ય ટોચના નેતાઓ હાજર છે.
સોનિયાનાં રાજકીય સલાહકાર એહમદ પટેલનું કહેવું છે કે ચૂંટણીના પરિણામો માટે કોઈ એક વ્યક્તિને દોષ દઈ ન શકાય. આ તો પાર્ટી તથા સરકાર, બંનેની સહિયારી જવાબદારી છે.
બીજી તરફ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે પાર્ટીને મળેલા પરાજય માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના રાજીનામાની રજુઆત કરી શકે છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 206 બેઠકો મળી હતી.
સોનિયા અને રાહુલ ગાંધી ચૂંટણી પરિણામોના દિવસે મીડિયા સમક્ષ ઉભા રહ્યા હતા ત્યારે પાર્ટીની હારની જવાબદારી રાહુલે પણ સ્વીકારી હતી.