સોશિયલ નેટવર્કિંગ સાઇટના દુરુપયોગ સામે કડક કાર્યવાહી થશે
મુંબઇ, 9 જૂન : પાછલા સપ્તાહે સોશિયલ નેટવર્સિંક સાઇટ પર વાંધાડનક પોસ્ટ નાખવાને કારણે ભડકી ઉઠેલી હિંસા બાદ મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટિલે આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર તેને અપલોડ કરવાની સાથે સાથે આ પોસ્ટને લાઇક કરનાર લોકો અને તેને શેર કરીને આગળ મોકલનારા લોકો સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે ફેસબુક પર અજ્ઞાત લોકો દ્વારા છત્રપતિ શિવાજી અને શિવસેનાના સંસ્થાપક દિવંગત બાલ ઠાકરેની આપત્તિજનક તસવીરો નાખ્યા બાદ પુનામાં ગયા સોમવારે એક આઇટી પ્રોફેશનલ મોહસીન શેખની હત્યા થઇ હતી. એક હિંદુ સંગઠન હિન્દુ રાષ્ટ્ર સેનાના કાર્યકરે તેને મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ બે દિવસ સુધી હિંસા ચાલી હતી.
આ મુદ્દે પાટિલે જણાવ્યું કે સોશિયલ મીડિયાનો સમગ્ર દુનિયામાં ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ સારા હેતુ માટે કરવામાં આવે છે. જો કે કેટલાક તત્વો અરાજકતા ફેલાવવા માટે તેનો ઉપયોગ કરે છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં બનેલી ઘટના તેનો પુરાવો છે. આગામી દિવસોમાં આપ જોશો કે આ પોસ્ટ કરનારા, તેનો શેર કરનારા અને તેને લાઇક કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સરકાર એ પણ જોશે કે સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવવા માટે કોઇ કાયદો ઘડી શકાય એમ છે કે નહીં.