ચંદ્રયાન 3ની સફળતા આપણને સૂર્ય સુધી પહોંચાડશે
જ્યારે ભારતે વિશ્વને શૂન્ય આપ્યું હતું ત્યારથી જ આજના દિવસની ગણતરી શરૂ થઈ ગઈ હતી. ઈસરોના વૈજ્ઞાનિકો અને ચંદ્રયાન મિશનમાં પડદાની પાછળ પણ કામ કરનારા તમામ કર્મચારીઓએ આજે દરેક ભારતીયોને ગદગદીત કરી દીધા છે. સૌકોઈ આ ઐતિહાસિક ક્ષણ જોઈ ઉત્સાહિત છે. સમગ્ર વિશ્વમાં આજે ઈસરોએ ભારતનો ડંકો વગાડ્યો છે. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર દેશો સોવિયેત યૂનિયન, અમેરિકા અને ચીનની યાદીમાં ભારત પણ સામેલ થઇ ગયો છે.

અમુક દેશના ઝંડામાં ચંદ્ર છે જ્યારે આપણા દેશનો ઝંડો ચંદ્ર પર છે, દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે. જાત-પાતથી ઉપર ઉઠી આજે દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બન્યો છે અને ઉજવણી કરી રહ્યો છે. સોવિયેટ યૂનિયન, અમેરિકા અને ચીન અગાઉ ચંદ્ર પર ઉતરાણ કરી શક્યા છે પણ ભારત એકમાત્ર દેશ છે જેના યાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું હોય.
આ ક્ષણે વિક્રમ સારાભાઈની યાદ પણ આવી જ જાય. તેમણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ની સ્થાપના કરી હતી, અને રશિયાના સ્પુટનીક લોન્ચ પછી તેમણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત સરકારને સમજાવી હતી. રોકેટ લોન્ચિંગ કેન્દ્ર માટે ડૉ ભાભાએ ડૉ સારાભાઈને સહકાર આપ્યો હતો અને ઈસરોએ ત્યાર પછી સેંકડો નાના-મોટાં મિશન પાર પાડ્યાં છે.
મિશન મૂન બે વખત નિષ્ફળ ગયું હતું, તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 2ની નિષ્ફળતા સમયે ઈસરોના ચેરમેન એસ સોમનાથને જે આશ્વાસ અને સાથસહકાર આપ્યો તે વિશ્વ નેતાની તેમની છબી ઉજાગર કરે છે. તેમના પ્રોત્સાહને ઈસરોની સમગ્ર ટીમમાં જુસ્સો ભરી દીધો હતો, અને જે કારણોસર ચંદ્રયાન 2 ચંદ્ર પર ઉતરી ન શક્યું તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
પ્રજ્ઞાન રોવર મુન વૉક કરી રહ્યું છે. પ્રજ્ઞાન રોવરનું કામ કેમેરાની મદદથી ચંદ્ર પરની વસ્તુઓનું સ્કેનિંગ કરશે. પ્રજ્ઞાનમાં લાગેલા પેલોડ ચંદ્રની સપાટી વિશે જાણકારી હાંસલ કરશે. જે ઈયૉન્સ અને ઈલેક્ટ્રોન્સની માત્રા વિશે પણ માલૂમ કરશે. પ્રજ્ઞાન આ બધો ડેટા લેન્ડર વિક્રમને પહોંચાડશે અને લેન્ડર વિક્રમ એકત્રિત થયેલો ડેટા પૃથ્વી પર મોકલશે. આ મિશન દ્વારા ચંદ્ર પર રહેલા ખનીજો વિશે પણ માહિતી એકત્રિત કરાશે.
ભારત માટે આ ઉડાણ ચંદ્ર સુધીની છે પરંતુ આપણા વૈજ્ઞાનિકોને હવે સૂર્ય સુધી પહોંચવા પૂરતો જુસ્સો અને કોન્ફિડન્સ ચંદ્રયાન 3 અપાવી ગયું છે. આગામી દિવસોમમાં ભારત માનવયુક્ત અંતરિક્ષ યાન ગગનયાન મોકલવાની તૈયારીમાં છે. આ ઉપરાંત ચાંદા મામા પછી ભારત હવે સૂરજ દાદા સુધી પહોંચવા આતુર છે આગામી સમયમાં આદિત્ય-એલ1 સૂર્યના સંશોધન માટે મોકલવામમાં આવશે. સમગ્ર વિશ્વપટલમાં ભારતનું આજે નામ ગુંઝી રહ્યું છે, જેનો શ્રેય ઈસરોના આ મિશનમાં કામ કરતા દરેક કર્મચારીઓને અને આપણા દેશની સરકારને જાય છે જેણે ઈસરોના વૈજ્ઞાનિકોને આર્થિક અને માનસિક બંને રીતે સાથ આપ્યો.












Click it and Unblock the Notifications
