સુનંદા પુષ્કર મોત મામલે શશિ થરૂર આરોપી, કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
સુનંદા પુષ્કર મોત મામલે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરૂરને સમન મોકલ્યા છે. અદાલતે સમન જારી કરીને 7 જુલાઈએ શશિ થરુરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે.
સુનંદા પુષ્કર મોત મામલે દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટે શશિ થરૂરને સમન મોકલ્યા છે. અદાલતે સમન જારી કરીને 7 જુલાઈએ શશિ થરુરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. મંગળવારે સુનંદાના મોત કેસમાં દિલ્હી પોલિસ તરફથી રજૂ કરાયેલ ચાર્જશીટ પર સુનાવણી કરતા કોર્ટે થરુરને આ આદેશ આપ્યો છે. કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર દક્ષિણ દિલ્હીની લીલા હોટલમાં 17 જાન્યુઆરી 2014 ના રોજ મૃત હાલતમાં મળી આવી હતી.
અમે કાયદાકીય રીતે આની સામે લડીશુ
પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલિસની ચાર્જશીટમાં થરુરને આરોપી બનાવવાની દલીલ કરવામાં આવી છે. જેના પર અદાલતે આજે સુનાવણી કરી. શશિ થરુરના વકીલે કહ્યુ કે તેમણે ચાર્જશીટની કૉપી માંગી છે, અમે કાયદાકીય રીતે આની સામે લડીશુ. તેમનું કહેવુ છે કે તેમના અસીલ પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેનો કોઈ આધાર નથી અને તે અદાલતમાં નહિ ટકી શકે.
ઈમેઈલમાં મરવાની ઈચ્છા દર્શાવી
સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં કહ્યુ કે થરુર સામે કાર્યવાહી કરવા માટે પર્યાપ્ત પુરાવા છે. દિલ્હી પોલિસ મુજબ સુનંદા પુષ્કરે પોતાના પતિ શશિ થરુરને એક ઈમેઈલમાં મરવાની ઈચ્છા દર્શાવી હતી. દિલ્હી પોલિસે થરુરને આત્મહત્યા માટે ઉકસાવવા અને પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવાની કોશિશ કરવા માટે આઈપીસીની ધારા 306 અને 498એ હેઠળ આરોપી બનાવ્યા છે. સુનંદા પુષ્કર મોત મામલે 4 વર્ષ બાદ દિલ્હી પોલિસે પટિયાલા હાઉસ કોર્ટમાં 14 મે ના રોજ આરોપપત્ર દાખલ કર્યુ છે. દિલ્હી પોલિસના 3000 પાનાની ચાર્જશીટમાં દિલ્હી પોલિસે કોંગ્રેસ નેતા અને સુનંદા પુષ્કરના પતિ શશિ થરુરને આરોપી બનાવ્યા છે.
શરીર પર ઈંજેક્શનના નિશાન
17 જાન્યુઆરી 2014 ના રોજ સુનંદા પુષ્કર દિલ્હીની એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ઝેર બતાવવામાં આવ્યુ હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેમના શરીર પર ઈંજેક્શનના નિશાન પણ હતા. હોટલના જે રૂમમાં તેમની લાશ મળી હતી ત્યાં ઊંઘની ગોળીઓ પણ મળી હતી.