કોવિડ ડેથ ગાઈડલાઈનમાં આત્મહત્યાવાળા એંગલ પર SCને વાંધો, કહ્યુ - કેન્દ્ર ફરીથી કરે વિચાર
કોવિડ મોત મામલે આત્મહત્યાવાળા એંગલ પર સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે.
નવી દિલ્લીઃ હાલમાં જ કોવિડ ડેથ સાથે સંબંધિત ગાઈડલાઈન કેન્દ્ર સરકારે જાહેર કરી હતી જેમાં પૉઝિટિવ આવવા પર 30 દિવસની અંદર મોત મામલાને કોવિડ ડેથ માનવાની વાત કહેવામાં આવી હતી. કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે જો દર્દી આત્મહત્યા કરે કે પછી તેનો અકસ્માત થઈ જાય તો તેને કોવિડ ડેથ માનવામાં નહિ આવે. આમાં આત્મહત્યાવાળા એંગલ પર સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે. સાથે જ સરકારને ફરીથી વિચાર કરવા માટે કહ્યુ છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે 23 સપ્ટેમ્બર સુધી મોતના કારણના પ્રમાણપત્ર અને વળતર મામલે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન જાહેર કરીને અનુપાલન રિપોર્ટ ખંડપીઠ સામે રજૂ કરે. આ ઉપરાંત સરકારે કોરોના પૉઝિટિવ દર્દીની આત્મહત્યાને કોવિડ ડેથ ન માનવાની વાત કહી છે. આ સ્વીકારી ન શકાય. આ મુદ્દાને લઈને ગાઈડલાઈનના ઘણા મુદ્દાઓ પર સરકારે ફરીથી વિચાર કરવો જોઈએ. આ કેસની આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થશે.
ગાઈડલાઈનમાં છે આ વાતો
કેન્દ્રએ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે જો કોઈ વ્યક્તિ કોરોના પૉઝિટિવ આવે તો પૉઝિટિવ આવ્યાના 30 દિવસની અંદર તેનુ મોત થવા પર તેને કોવિડ ડેથ માનવામાં આવશે. આના માટે દર્દીના પરિવારજનોને રજિસ્ટ્રેશન ઑફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969ની કલમ 10 હેઠળ જે ફૉર્મ-4 અને 4એ ઈશ્યુ કરવામાં આવશે તેમાં મોતનુ કારણ કોવિડ-19 ડેથ લખેલુ હશે. જો દર્દી કારણથી સંતુષ્ટ ન હોય તો તેના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જિલ્લા સ્તરની એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર, સીએમઓ, મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ કે મેડિસિન વિભાગના હેડ અને સબ્જેક્ટ એક્સપર્ટ હશે કે જે મોતના અધિકૃત દસ્તાવેજ જાહેર કરશે. આ નિયમ હૉસ્પિટલ સાથે ઘરે ઈલાજ કરાવી રહેલા દર્દીઓ પર પણ લાગુ છે.