મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર પર સુપ્રીમ કોર્ટ ખફા, શિવસેના ધારાસભ્યો મુદ્દે 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા આદેશ
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર ફરીથી ખતરાના વાદળ છવાઈ રહ્યા છે. શિંદે સરકાર બનાવવામાં વિધાનસભા સ્પીકરની શંકાસ્પદ ભુમિકાને લઈને સુપ્રીમ કોર્ટ ખફા છે અને 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા કહ્યું છે.
શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના તમામ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મુદ્દે 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે આ માટે તેમને 29 ફેબ્રુઆરી સુધીનો સમય આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત તમામ ધારાસભ્યોની ગેરલાયકાતની અરજી પર 31 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરના પ્રસ્તાવને ફગાવ્યો છે. સ્પીકરે આ પ્રસ્તાવમાં કહ્યું હતું કે, તે અયોગ્યતાની અરજીઓ પરની કાર્યવાહી 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં સમાપ્ત કરી શકે છે. પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા સીએમ એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાની અરજી દાખલ કરવામાં આવી છે.
આ સિવાય સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથ દ્વારા NCPના અજિત પવારની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યોના જૂથ સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર 31 જાન્યુઆરી 2024 સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે શિવસેના (યુબીટી)ના સુનીલ પ્રભુ અને એનસીપીના શરદ પવાર જૂથના જયંત પાટીલ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કર્યા બાદ આ નિર્દેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર ભાજપના ધારાસભ્ય છે તેથી ઉદ્ધવ જૂથ તેમના પર ગેરલાયક ઠેરવવાના નિર્ણયને જાણી જોઈને મુલતવી રાખવાનો આરોપ લગાવી રહ્યું છે.
સ્પીકરે કોર્ટને કહ્યું કે, કાર્યવાહી પૂર્ણ કરવા 29 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય જરૂરી છે. જો કે કોર્ટ આ વાત સાથે સહમત નથી અને કડક વલણ અપનાવ્યું છે. CJIએ કહ્યું કે, તેઓએ નિર્ણય લેવાનો છે... 31મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો.












Click it and Unblock the Notifications
