સુપ્રીમ કોર્ટે કિન્નરોને 'ત્રીજુ લિંગ'ની માન્યતા આપી
નવી દિલ્હી, 15 એપ્રિલ : આજે એક ઐતિહાસિક ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે કિન્નરોને ત્રીજી લિંગ શ્રેણીમાં મૂકવાનો આદેશ આપ્યો છે. એટલે કે હવે કિન્નર મહિલા અને પુરુષ બાદની ત્રીજી શ્રેણી અંતર્ગત માન્યતા મળશે.
સાથે જ સુપ્રીમ કોર્ટે કિન્નરોને પછાત વર્ગની જેમ અનામત આપવા માટે પણ કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે. કેન્દ્ર સરકારને અપાયેલા નિર્દેશોમાં કહેવાયું છે કે, હવે તેમને નોકરી, શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓમાં વિશેષ લાભ આપવા. હવે આ તમામ સેવાઓમાં કિન્નરોને વિશેષ લાભ થશે.
આ અંગેની એક જાહેર હિતની અરજીમાં કિન્નરોને અનામત આપવાની માગ કરાઈ હતી. આ સાથે જ તેમને શિક્ષણ, નોકરીમાં પણ અનામત આપવાની માગ હતી. આ અરજીમાં દલીલ કરાઈ હતી કે ટ્રાન્સજેન્ડર્સ તમામ મૂળભૂત અધિકારોથી વંચિત રહી જતા હોય છે.
આ અરજીમાં કિન્નરોને ત્રીજી જાતિમાં નાગરિકતા આપવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીમાં કરાયેલી લગભગ તમામ માંગોને સ્વીકારી લીધી છે.