PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે કોણ કરશે તપાસ? સુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો
પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે
નવી દિલ્લીઃ પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટે સોમવારે આ કેસની તપાસ રિટાયર્ડ જજ પાસે કરાવવાની વાત કહી હતી અને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. આ કેસમાં ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેંચ ચુકાદો સંભળાવશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની તપાસ પર લગાવી હતી રોક
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એ કહ્યુ હતુ કે પીએમની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ના તો કેન્દ્ર સરકાર અને ના પંજાબ સરકાર કોઈ તપાસ કરશે પરંતુ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરીને તેની તપાસ કરાવવામાં આવશે. સર્વોચ્ચ ન્યાયાલયે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. સુપ્રીમ કોર્ટ આ ઉપરાંત સમિતિમાં ચંદીગઢના ડીજીપી, આઈજી રાષ્ટ્રીય તપાસ એજન્સી, પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડીજીપી(સુરક્ષા)ને શામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરના પ્રવાસે ગયા હતા. પીએમ મોદીનો કાફલો બઠિંડા એરપોર્ટથી હુસેનીવાલા તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં પીએમ મોદીના કાફલાને અમુક પ્રદર્શનકારીઓએ એક ફલાઈઓવર પર 15-20 મિનિટ માટે રોકી લીધો હતો. પીએમ મોદીનો કાફલો એક ફ્લાઈઓવર પર 15-20 મિનિટ માટે ફસાઈ રહ્યો હતો. ત્યારબાદ પીએમ મોદી પોતાનો કાર્યક્રમ રદ કરીને પાછા દિલ્લી આવી ગયા હતા.