સુષ્માનો રાહુલને જવાબ, ‘જો આતંકવાદ નથી તો પોતાની SPG સુરક્ષા હટાવી દો'
કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ કથિત નિવેદન પર પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે આતંકવાદ કોઈ મુદ્દો નથી.
2019ની લોકસભા ચૂંટણીની ગરમીઓ વચ્ચે રાજકીય નિવેદનબાજીઓનો દોર સતત ચાલુ છે. કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એ કથિત નિવેદન પર પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યુ હતુ કે આતંકવાદ કોઈ મુદ્દો નથી. સુષ્મા સ્વરાજે રાહુલના નિવેદન પર કહ્યુ કે જો તેમને આતંકવાદ કોઈ મુદ્દો નથી લાગતો તો પછી પોતાની એસપીજી સુરક્ષા કવર હટાવી દેવી જોઈએ. સુષ્માએ કહ્યુ, 'રાહુલ ગાંધી કહે છે કે આતંકવાદ નહિ પરંતુ રોજગાર એક મુદ્દો છે. હું રાહુલ ગાંધીને કહેવા ઈચ્છુ છુ કે જો આતંકવાદ કોઈ મુદ્દો નથી અને દેશમાં આતંકવાદ નથી તો પછી તે દરેક જગ્યાએ એસપીજી સુરક્ષા સાથે કેમ જાય છે.'
‘હટાવી લો પોતાની એસપીજી સુરક્ષા'
સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ, ‘પૂર્વ પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીની હત્યાના સમયથી અત્યાર સુધી તમારો સમગ્ર પરિવાર એસપીજી સુરક્ષાના કવરમાં છે. જો તમને લાગતુ હોય કે આતંકવાદ કોઈ મુદ્દો નથી તો હું તમને કહેવા માંગુ છુ કે તમે લખીને આપો અને કહી દો કે તમારે એસપીજી સુરક્ષાની કોઈ જરૂરિયાત નથી કારણકે તમે માનો છો કે આ દેશમાં આતંકવાદ નથી અને તમને કોઈનાથી ડર નથી લાગતો.'
‘વિપક્ષને પીએમ પર ભરોસો નથી, પાક પર છે'
હૈદરાબાદમાં આયોજિત એક ચૂંટણી જનસભામાં સુષ્મા સ્વરાજે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી શિબિરો પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા કહ્યુ કે વિપક્ષી દળોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભરોસો નથી. પરંતુ તે પાકિસ્તાનના નેતાઓના નિવેદનોને સાચા માનીને સ્વીકારી રહ્યા છે. સુષ્મા સ્વરાજે કહ્યુ કે ભારતની એર સ્ટ્રાઈક બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે અમને સમર્થન મળ્યુ અને ઘણા દેશોમા નેતાઓએ તેમને ફોન કરીને આતંકવાદ સામે ભારતના વલણનું સમર્થન કર્યુ.
‘મુંબઈ આતંકી હુમલામાં કેમ ન કરી કાર્યવાહી'
સુષ્મા સ્વરાજે આગળ કહ્યુ, ‘2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં યુપીએ સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી જોઈતી હતી. આ મામલે 40 વિદેશી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા. આ ચૂંટણીમાં અમારી સરકારના ત્રણ જ મુદ્દા છે - સુરક્ષા, વિકાસ અને કલ્યાણ. આજે 1.16 લાખ ગામ ફાઈબર ઑપ્ટિક નેટવર્ક સાથે જોડાયેલા છે. પહેલા દેશમાં માત્ર 77 પાસપોર્ટ કેન્દ્ર હતા અને આજે 505 થઈ ગયા છે. તેલંગાનામાં માત્ર ચાર કેન્દ્ર હતા અને હવે 19 થઈ ગયા છે.'
આ પણ વાંચોઃ શ્રીધન્યા, IAS બનનારી કેરળની પહેલી આદિવાસી યુવતીને રાહુલ ગાંધીએ આપ્યા અભિનંદન