અબ્દુલ કરીમ ટુંડાએ ખોલ્યા રહસ્યો, પાક. ફરી બેનકાબ
નવી દિલ્હી, 18 ઑગસ્ટ : ભારતે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંના એક અબ્દુલ કરીમ ટુંડાની દિલ્હી પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરી છે, જેમાં ચોકાવનારા રહસ્યો સામે આવ્યા છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ખાસ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ટુંડાએ ખુલાસો કર્યો છે કે તેણે જ હાફિસ સઇદની મુલાકાત દાઉદ સાથે કરાવી હતી. ઉપરાંત ટુંડાએ જણાવ્યું કે દાઉદ હજી પણ પાકિસ્તાનના કરાચીમાં જ રહે છે.
તે ક્યારેક કરાચીથી બહાર પણ જાય છે. ટુંડાને પોતાના કર્યા પર કોઇ પછતાવો પણ નથી. આની સાથે તેણે એવું પણ જણાવ્યું કે તે બહાર નીકળશે તો ફરી બ્લાસ્ટ કરશે. જોકે ટુંડાના આ કનફેસન પર અધિકારીક મહોર લગાવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ટુંડાને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શનિવારે ભારત-નેપાલ સરહદ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. ટુંડા પર દેશમાં થયેલા 40થી વ ધારે બોમ્બ બ્લાસ્ટને અંજામ આપવાના આરોપ છે.
ન્યૂઝ ચેનલ અનુસાર, અબ્દુલ કરીમ ટુંડાએ પૂછપરછમાં જણાવ્યું કે પાકિસ્તાનના કરાચી શહેરમાં રહેતો હતો. સૂત્રો અનુસાર તેણે જણાવ્યું કે તેનું એક ઠેકાણું પાકિસ્તાનના મુરિદકે હતું, જ્યાં જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર છે. ટુંડાએ એ પણ માન્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં તેણે આતંકવાદીઓને બોમ્બ બનાવવાની ટ્રેનિંગ આપી.
પૂછપરછ દરમિયાન ટુંડાએ લશ્કર-એ-તૈયબાના કાવતરાનો ખુલાસો પણ કર્યો છે. ટુંડાએ લશ્કરને આર્થિક મદદ કરનારાઓ અંગે પણ પોલીસને જાણકારી આપી છે. તે અંગ્રેજી અથવા ઉર્દૂમાં વાત કરે છે. દિલ્હી પોલીસ તેની પાસે આઇએસઆઇની પ્લાનિંગ અંગે જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે. જોકે પોલીસ અધિકારીઓનું માનવું છે કે ટુંડા સાચી માહીતી નથી આપી રહ્યો. તે અમને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2001માં સંસદ ભવન પર થયેલા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસે જે 20 આતંકવાદીઓના પ્રત્યર્પણની માંગ કરી હતી, ટુંડા એમાંથી એક હતો. આ સૂચિમાં લશ્કર પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદ અને જૈશ-એ-મોહમ્મદ ચીફ મૌલાના અજહર મસૂદના નામ પણ છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પિલખુઆના રહેનાર ટુંડાએ 6 ડિસમ્બર 1993ના રોજ ઇન્ટરસિટી ટ્રેનોમાં પણ બ્લાસ્ટ કર્યા, જેમાં 2 લોકો માર્યા ગયા હતા. બોમ્બ બનાવવામાં માસ્ટર હોવા ઉપરાંત ટુંડાની જમ્મુ-કાશ્મીરની બહાર લશ્કર-એ-તૈયબાના નેટવર્કનું પ્રચાર-પ્રચાર કરવામાં મહત્વની ભૂમિકા રહી છે. આ આતંકવાદી સંગઠન જોડાયા પહેલા તે 1980ના દાયકાથી શરૂમાં હોમિયોપેથીની એક દુકાન ચલાવતો હતો.