શારીરિક સતામણી કેસ: તરુણ તેજપાલ વિરુદ્ધ નક્કી થયા આરોપો
ગોવાની અદાલત દ્વારા તહલકા મેગેઝિનના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ વિરુદ્ધ આરોપો નક્કી કરવામાં આવ્યા.
તહલકા મેગઝિનના સંસ્થાપક તરુણ તેજપાલ પર શારીરિક સતામણીનો આરોપ હતો, આ મામલે ગુરૂવારે ગોવાની કોર્ટે આરોપ નક્કી કર્યા હતા. તેજપાલ વિરુદ્ધ ભારતીય પીનલ કોડની કલમ 376(બળાત્કાર), 341, 342, 354A, 354B હેઠળ આરોપ નક્કી થયા છે. આ ચાર્જશીટની કોપી તેજપાલને સોંપવામાં આવી છે. હાલ તરુણ તેજપાલ જામીન પર જેલની બહાર છે. તેજપાલના વકીલને આ મામલે એક મહિનાનો સમય જોઇતો હતો, પરંતુ કોર્ટે વધુ સમય આપવાની સ્પષ્ટ મનાઇ કરી છે.
તેજપાલે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી કે, તેમની પર બળાત્કારનો આરોપ મુકવામાં ન આવે. તરુણ તેજપાલ પર સીઆરપીસીની કલમ 372(2) બેઠળ કેસ ચાલી રહ્યો છે. મહિલા પત્રકારે તરુણ તેજપાલ પર આરોપ લગાવ્યો છે અને તેમણે કોર્ટ પાસે માંગણી કરી છે કે, આ મામલાના મીડિયા ટ્રાયલ પર રોક લગાવવામાં આવે. મહિલા પત્રકાર તરફથી સીઆરપીસીની કલમ 327(3) હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.
તહલકા સામાયિકના પૂર્વ સંસ્થાપક-સંપાદક તરુણ તેજપાલ પર આરોપ છે કે, તેમણે નવેમ્બર 2013માં ગોવામાં THINK 2013 કાર્યક્રમ દરમિયાન એક ફાઇવ સ્ટાર હોટલની લિફ્ટમાં મહિલા પત્રકારની શારીરિક સતામણી કરી હતી. ગોવાની માપુસા કોર્ટ દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ તેજપાલ વિરુદ્ધ આરોપ ન લગવાવાની અરજી ફગાવવામાં આવી હતી. તરુણ તેજપાલ વિરુદ્ધ બળાત્કાર, યૌન ઉત્પીડન, હુમલો અને ખોટી રીતે નિયંત્રણ કરવા માટે કેસ ચાલે એવી શક્યતા છે. જો તેઓ દોષી સાબિત થાય તો 10 વર્ષની સજા થઇ શકે છે.