Tawang Clash : તવાંગમાં ચીનની અવળચંડાઇ, ઉમર અબ્દુલ્લાને યાદ આવ્યા વાજપેયી, સરકાર માટે કહી આ વાત
9 ડિસેમ્બરના અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો પર વચ્ચે ઘર્ષણ થયું હતું. વિપક્ષ દ્વારા સરકાર પર માછલા ધોવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ઉમર અબ્દુલ્લાએ સરકાર પર પ્રહારો કર્યા છે
Tawang Clash : અરૂણાચલ પ્રદેશમાં એલએસી નજીક તવાંગ સેક્ટરમાં યાંગત્સે વિસ્તારમાં ચીનના સૈનિકો દ્વારા ઘુષણખોરી કરવાની કોશિશ કરવામાં આવતા ભારતીય સેના અને ચીન સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. કેન્દ્ર સરકાર એક વાર ફરીથી વિપક્ષના નિશાના પર આવી ગઇ છે.
વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર ચીન મુદ્દે ઘેરવામાં આવી રહી છે. આવા સમયે જમ્મ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે બંને દેશોના ખરાબ થઇ રહેલા સંબંધ અંગે કેન્દ્ર પર સવાલ ઉઠાવ્યા હતા.
ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રને ઘેર્યું
અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે, આપણે આપણા પાડોશી દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. પાકિસ્તાન સાથેના આપણા સંબંધોનું સત્ય કોઈનાથી છૂપાયેલું નથી.
ચીન સાથે પણ એવું જ થઇ રહ્યું હોય તેવું લાગતું નથી. હજૂ સુધી ચીની સૈનિકો લદ્દાખમાંથી સંપૂર્ણપણે પાછા હટ્યા નથી અને આજે સમાચાર આવી રહ્યા છે કે, અરુણાચલ પ્રદેશમાં પણ ઘર્ષણ થયું હોવાના સમાચાર છે.
અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, આપણે મિત્રો બદલી શકીએ છીએ, પણ પાડોશી નહીં. આપણે આપણા પડોશીઓને બદલી શકતા નથી, પરંતુ તેમની સાથે સારા સંબંધ બનાવી શકીએ છીએ.
અબ્દુલ્લાએ કહ્યું કે, તાળી એક હાથે નહીં વાગે, બે હાથે વાગે છે. ચીનની પણ જવાબદારી છે કે, તે આપણી સાથે સારા સંબંધ જાળવી રાખે અને આવી ગતિવિધિઓને રોકે.
રાજનાથ સિંહે કહી આ વાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં LAC ઘટના અંગે જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરના રોજ PLA સૈનિકોએ અરુણાચલ પ્રદેશનાતવાંગ સેક્ટરના યાંગત્સે સેક્ટરમાં LAC પાર અતિક્રમણ કર્યું અને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો.
ભારતીય સૈનિકોએ ચીનના પ્રયાસનો જોરદાર પ્રતિકાર કર્યો અને સામસામે ઝપાઝપી થઈ હતી. રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, આપણીસેનાએ બહાદુરીથી PLAની ઘૂસણખોરી અટકાવી અને તેમને તેમના પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા.
અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા
રાજનાથે જણાવ્યું હતું કે, અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને ઈજા થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ કે ગંભીર રીતે ઘાયલ થયા નથી. જે બાદ સ્થાનિક આર્મી કમાન્ડરે 11 ડિસેમ્બના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી.
આ ફ્લેગ મીટિંગમાં ચીની પક્ષને સરહદ પર શાંતિજાળવવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલો ચીનની સાથે રાજદ્વારી સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે.