રસ્તા પર નમાજ વાંચવાને લઇને મેરઠમાં તણાવ
ઘર્ષણ થયું હોવાના અહેવાલ મળતાં જ મોટી માત્રા પોલીસ અને પ્રશાસન અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા, ત્યારબાદ પોલીસકર્મીઓની ઉપસ્થિતિમાં લોકોએ રસ્તા વચ્ચે નમાજ વાંચી હતી. અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યા બાદ સ્થિતિ સામાન્ય થઇ શકી હતી.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, લાલકુર્તી પોલીસ મથકના છીપી ટેન્ક રોડ પર જ્યા એક તરફ શિવ મંદિર છે તો બીજી તરફ મસ્જિદ છે. બુધવારે રાત્રે નમાજ અદાયગી સમયે લોકોની સંખ્યા વધી જવાના કારણે લોકો રસ્તાથી લઇને મંદિરની દિવાલ સુધી પહોંચી ગયા હતા.
આ અંગેની જાણ થતાં જ ભાજપના કેટલાક નેતા અને હિન્દુત્વવાદી સંગઠનોના સભ્યો ત્યાં પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા હતા, તેમજ ચેતવણી આપતા કહ્યું હતું કે, રસ્તા પર નમાજ અદા કરવા પર રોક લગાવવામાં નહીં આવે તો મંદિર પર ભંડારાનું આયોજન કરવામાં આવશે.
બન્ને સમુદાયો વચ્ચે વધતા તણાવને જઇને આખા જિલ્લામાં પોલીસ અને પીએસીને તેનાત કરી દેવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી બની રહ્યું કે નમાજ વાંચવાને લઇને બન્ને સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હોય, આ પહેલા પણ બન્ને સમુદાયો વચ્ચે વિવાદ થઇ ચુક્યો છે. ભાજપના નેતાઓએ પોલીસ પ્રશાસનને ચેતવણી આપી છે કે રસ્તા પર નમાજ અદા થઇ તો પછી મંદિરમાં ભંડારો કરવામાં આવશે અને આ માટે પોલીસ-પ્રશાસન જવાબદાર રહેશે.