સતત બીજા દિવસે આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં 2 પ્રવાસી મજૂરોની હત્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોને ઠાર કર્યા હતા. જ્યારે એક મજૂરને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવારના રોજ આતંકવાદીઓએ બે પ્રવાસી મજૂરોને ઠાર કર્યા હતા. જ્યારે એક મજૂરને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા શનિવારના રોજ શ્રીનગર અને પુલવામા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓ દ્વારા બે પ્રવાસી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પ્રવાસી મજૂરોના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો
મીડિયા અહેવાલો અનુસાર અજાણ્યા બંદૂકધારીઓએ કુલગામના વાનપોહમાં પ્રવાસી મજૂરોના ઘરમાં ઘૂસીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 3 પ્રવાસી લોકોને ગોળી વાગી હતી. તેમાંથી 2 ના મોત થયા છે, જ્યારે 1 મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ રાજા રેશી દેવ, જોગીન્દર રેશી દેવ તરીકે થઈ છે. ઘાયલોનું નામ ચુંચુન રેશી દેવ છે. તમામ બિહારના વતની છે. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.
શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં પાણીપૂરી વેચવાવાળાને ઠાર કર્યો
આ પહેલા શનિવારના રોજ શ્રીનગર અને પુલવામા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકવાદીઓ દ્વારા બે પ્રવાસી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ શનિવારે સાંજે શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં પાણીપૂરી વેચવાવાળાને ઠાર કર્યો હતો. મૃતક પાણીપૂરી વેચવાવાળો શખ્સ બિહારના બાંકા જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે, જેની ઓળખ અરવિંદ કુમાર તરીકે થઈ છે.
બે દિવસમાં કુલ ચાર મજૂરોને આતંકવાદીઓએ ઠાર કર્યા
અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સુથાર તરીકે કામ કરતા સગીર અહમદને ગોળી મારી હતી, જે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ અહેમદનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. સતત બીજા દિવસે આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ બે દિવસમાં કુલ ચાર મજૂરોને આતંકવાદીઓએ ઠાર કર્યા છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કર્યો સંકલ્પ
જમ્મુ -કાશ્મીરમાં નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ વચ્ચે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ રવિવારે સંકલ્પ કર્યો કે, નિર્દોષ નાગરિકોના લોહીના દરેક ટીપાનો બદલો આતંકવાદીઓ અને તેમના સહાનુભૂતિઓ ધરાવતા લોકો પાસેથી લેવામાં આવશે. સિંહાએ કહ્યું કે, રાજ્યમાં શાંતિ અને સામાજિક-આર્થિક પ્રગતિ અને લોકોના વ્યક્તિગત વિકાસને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશના ઝડપી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી છે.