ફેસબુક વિવાદ: SP સસ્પેંડ, જજની બદલી
બાલા સાહેબના અંતિમ સંસ્કારના દિવસે 18 નવેમ્બરના રોજ 21 વર્ષીય શાહીન ડાઢાએ બાલા સાહેબ ઠાકરેનું નામ લીધા વિના ફેસબુક પર ટિપ્પણી કરી હતી, જેને તેની મિત્ર રેણૂએ ફેસબુક પર લાઇક કરી હતી. આ અંગે શિવસેનાના સ્થાનિક કાર્યકર્તાઓએ આ છોકરી વિરૂદ્ધ લોકોની ભાવનાઓને ભટકાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ શાહીનના કાકાના ક્લિનિકમાં કેટલાક લોકોએ ઘૂસીને તોડફોડ મચાવી હતી. આ મુદ્દે પોલીસે બંને છોકરીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ દેશભરમાં 'અભિવ્યક્તિની સ્વંત્રતા'ના મુદ્દે ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
ચારેતરફ વિરોધનો વંટોળ ફાટી નિકળતાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને ગૃહમંત્રી આર.આર. પાટીલે યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. આ અંગેની તપાસ માટે આઇજી રેંકના અધિકારીને તપાસની જવાબદારી સોંપી હતી. તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વરિષ્ઠ પોલીસ અધિકારી આ કેસને ગંભીરતાપૂર્વક લીધો ન હતો. જો તે વખતે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો હોત તો આ મામલો આટલો ગંભીર બન્યો ન હોત. આ બંને છોકરીઓ વિરૂદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવા પાછળનું કોઇ કારણ સમજાતુ નથી. બંને પર ધાર્મિક ભાવનાઓને ભડકાવાનો અને ખોટા ઇરાદાથી સંદેશ મોકલવાનો આરોપ લગાવ્યો હતો.
રિપોર્ટના આધારે સરકારે થાણેના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) રવિન્દ્ર સોનગાંવકર અને વરિષ્ઠ પોલીસ નિરિક્ષક શ્રીકાંત પિંગલેને સસ્પેંડ કરવામાં આવ્યાં છે, જ્યારે થાણે (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંગ્રામ નિશાનદારને કડક ચેતાવણી આપવામાં આવી છે.
આ કેસમાં મેજિસ્ટ્રેટ પર પ્રશ્નો ઉભા થયાં છે તેમને આ કેસમાં ધ્યાન આપ્યું નથી. તેમને લખ્યું નથી કે શું આરોપો લગાવ્યા હતા અને કેમ. જજે શાહિન અને રેણૂને 15-15 હજાર રૂપિયા અને શાહિનના કાકાના ક્લિનિકમાં તોડફોડ કરનારાઓને 7500 રૂપિયાના જામીનખત પર જામીન આપ્યાં હતા. જજ રામચંદ્ર બાગડેની તાત્કાલીક ધોરણે બદલી કરવામાં આવી છે.