ઠાકરે FB વિવાદ : શિવ સેનાએ પાલઘર બંધ કરાવ્યું
ફેસબૂક પર કમેન્ટ કરનારી બે યુવતીઓની ધરપકડ કરનારા બે પોલીસ અધિકારીઓને બરતરફ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરતા શિવ સેનાએ આજે પાલઘરમાં સંપૂર્ણ બંધ કરાવ્યો છે.
કોંકણ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સુખવિંદર સિંહે બે યુવતીઓની ધરપકડ કરવાની કાર્યવાહીને અયોગ્ય પગલું ગણાવ્યું છે. જેના પગલે એસપી રવિન્દ્ર સેન્ગાવકર અને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીકાંત પિંગલેને બરતરફ કરી તેમની સામે વિપાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર આર પાટિલે ખાતરી આપી હતી કે બંને પોલીસ અધિકારીઓ સામે શક્ય તેટલા ઓછા સમયમાં તપાસ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે એડિશનલ એસપી સંગ્રામ નિશાન્દરને લેખિતમાં સૂચના આપવામાં આવી છે.
પાટિલે જણાવ્યું કે "બંને યુવતીઓ સામે ખોટી કલમ લગાવવામાં આવી હતી. તેમની સાથે અતિકડક પગલાં લેવાની જરૂર ન હતી. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે કયા આરોપો લગાવી શકાય તેની તપાસ કરાવવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે અગાઉ બોમ્બે હાઇકોર્ટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર જી બાગડેની બદલી કરી છે. બાગડેએ શાહીન ધડા અન રેણુ શ્રીનિવાસનને કસ્ટડી અને જામીન આપ્યા હતા. બંને યુવતીઓની 18 નવેમ્બરના બંધ સંદર્ભે ફેસબૂક પર કરવામાં આવેલી કમેન્ટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. બંને યુવતીઓ પાલઘર વિસ્તારમાં રહે છે.