તિરંગા ચૂડી લોન્ચ કરીને વિવાદમાં ફસાયા શશિ થરૂર
દાવો કરવામાં આવ્યો છે કે, આ ચૂડી નેચરલ, એનવાયરમેન્ટ ફ્રેન્ડલી અને નોન કેમિકલ બેસ્ડ હીલિંગ આપે છે. આ દાવા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ થરૂરને નિશાન બનાવ્યા છે. ફેસબુક અને ટ્વિટર પર લોકોએ ચૂડીને લઇને કરવામાં આવેલા દાવાને અંધવિશ્વાસ ફેલાવવાનું ગણાવ્યું છે.
વિવાદ વકરતો જોઇ થરૂરે સફાઇ આપવી પડી છે. થરૂરે લખ્યું છેકે મે મારા મિત્ર અને સાંસદ નવીન જિંદાલના અનુરોધનો સ્વિકાર કર્યો. ફ્લેક ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ હોવાના કારણે જિંદાલે તિરંગા ચૂડી લોન્ચ કરવા અનુરોધ કર્યો હતો.
મે તો માત્ર મારા મિત્રના અનુરોધનો સ્વિકાર કર્યો છે. આ કોમન પ્રેક્ટિસ છે. મારા દિલમાં જિંદાલ પ્રત્યે ઘણું સન્માન છે. રાષ્ટ્રીય ધ્વજને લઇને તેમણે કરેલા ઉત્કૃષ્ટ કાર્ય માટે પણ ઘણું સન્માન છે. મને એ સ્પષ્ટ કરવા દો કે મે માત્ર પ્રોડક્ટને લોન્ચ કરી હતી. તેની સાથેના કોઇપણ દાવા સાથે મારે કોઇ જ લેવા દેવા નથી. હું એ વાતમાં વિશ્વાસ કરું છું કે કોઇપણ સ્વાસ્થ્ય લાભના દાવાને ખારિજ કે તેનો સ્વિકાર કરતા પહેલા સાઇન્ટિફિક ટેમ્પરની જરૂર છે.