રાજ્ય સરકારે ત્રણ નગરપાલિકાઓના આગવા વિકાસ કામો માટે ૧૦.૩૬ કરોડ મંજુર કર્યા!
રાજ્ય સરકારે નગરો-મહાનગરોની આગવી ઓળખ ઊભી થાય તેવા વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ નગરપાલિકાઓને ૧૦.૩૬ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ગાંધીનગર : રાજ્ય સરકારે નગરો-મહાનગરોની આગવી ઓળખ ઊભી થાય તેવા વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ નગરપાલિકાઓને ૧૦.૩૬ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ અંતર્ગત કચ્છની રાપર નગરપાલિકાને આંઢવારા તળાવનો વિકાસ કરવા માટે ૩ કરોડ ૩૬ લાખની રકમ મંજૂર કરી છે. આ સિવાય થાનગઢ નગરપાલિકાના યોગ અને નોલેજ સેન્ટર નિર્માણ માટે ર.૯૪ કરોડ તથા સિંહોર નગરપાલિકામાં ટાઉન હોલ બનાવવા માટે ૪ કરોડ ૬ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરોમાં આગવી ઓળખના કામો હાથ ધરવા નગરપાલિકાની કક્ષા પ્રમાણે રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે. આ અનુસાર, 'અ' વર્ગની નગરપાલિકાઓને બે વર્ષમાં પાંચ કરોડ, 'બ' વર્ગની નગરપાલિકાઓને ૪ કરોડ, 'ક' વર્ગની નગરપાલિકાઓને ૩ કરોડ અને 'ડ' વર્ગની નગરપાલિકાઓને ર કરોડ ફાળવવામાં આવે છે
જે ત્રણ નગરપાલિકાઓ રાપર, સિંહોર અને થાનગઢમાં આગવી ઓળખના કામો હાથ ધરવા રકમ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં રાપર અને થાનગઢ 'ક' વર્ગની નગરપાલિકાઓ તથા સિંહોર 'બ' વર્ગની નગરપાલિકાની કક્ષામાં આવે છે. રાપરમાં આંઢવારા તળાવ ડેવલપમેન્ટના કામો માટે ૩.૩૬ કરોડની દરખાસ્તમાંથી વધારાના ૩૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ખર્ચ કરવાના રહેશે. સિંહોર નગરપાલિકામાં પણ મળવાપાત્ર ગ્રાન્ટ કરતાં વધારાના ૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ઉપયોગમાં લેવાના રહેશે