લખનઉ, 31 માર્ચ: સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે પહેલીવાર એ દાવો કર્યો છે કે તેઓ નરેન્દ્ર મોદીના કારણે આઝમગઢથી ચૂંટણી લડવા માટે નથી જઇ રહ્યા. મુલાયમ સિંહે જણાવ્યું છે કે જનતાની માંગ પર આજમગઢથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં મોદીની લહેર નથી. પૂર્વાંચલની જનતા અમને પ્રેમ કરે છે માટે આજમગઢથી લડી રહ્યા છે, બે બેઠકોથી એટલા માટે લડી રહ્યા છે કારણ કે મૈનપુરીની જાહેરાત પહેલાથી જ કરી ચૂક્યા હતા. 0
અત્રે ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહ આ વખતે મૈનપુરી ઉપરાંત આઝમગઢથી પણ ચૂંટણી લડવા જઇ રહ્યા છે. આ અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદીના વારાણસીથી ચૂંટણી લડવાના કારણે મુલાયમ સિંહએ આઝમગઢથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, પરંતુ હાલફિલહાલ મુલાયમ સિંહ આનાથી ઇનકાર કરી રહ્યા છે. મોદી પર મુલાયમે જણાવ્યું કે ચૂંટણી બાદ ભાજપ તરફથી મોદીનો ચહેરો બદલી પણ નખાશે તો પણ સમાજવાદી પાર્ટી ભાજપને ક્યારેય સમર્થન નહી આપે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનો રાજકીય રંગ લાગેલો છે, અને તેમાં દરેક નેતાઓ રાજકીય જશ ખાટવાના ફિરાકમાં છે. હાલમાં સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરનગરમાં થયેલા રમખાણોની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે અખિલેશ સરકાર રમખાણોને રોકવામાં અસમર્થ રહી છે. તેવામાં મતદારોને પોતાનાથી દૂર જતા રોકવા માટે મુલાયમ સિંહનું આવું પ્રાયશ્ચિતભર્યુ નિવેદન આવવું સ્વાભાવિક છે.