શું ભારતને ખરેખર બુલેટ ટ્રેનની જરૂર છે? Quora પર રેલ મંત્રીનો જવાબ
જાણીતી વેબસાઇટ Quora પર એક યૂઝરે બુલેટ ટ્રેનની જરૂરિયાત અંગે સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ Quora પર રેલવે મંત્રી પિયુષ ગોયલે પોતે આપ્યો હતો. આ અંગે વધુ વાંચો અહીં.
થોડા સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેનનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજનાને અંગે જ્યાં એક તરફ લોકો ખૂબ ઉત્સાહિત છે, ત્યાં અક વર્ગ એવો પણ છે જેમનું માનવું છે કે રેલવેમાં જરૂરી સુરક્ષા અને સગવડ પર પહેલાં ધ્યાન આપવામાં આવે અને ત્યાર બાદ આવી કોઇ યોજના પાછળ રોકાણ કરવામાં આવે. વિવિધ પ્રકારના સવાલ-જવાબ માટે જાણીતી વેબસાઇટ Quora પર એક યૂઝરે બુલેટ ટ્રેનની જરૂરિયાત અંગે સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ Quora પર રેલવે મંત્રી પિયુષ ગોયલે પોતે આપ્યો છે. Quora એક એવી વેસાઇટ છે, જેની પર લોકો વિવિધ પ્રકારના સવાલો, મૂંઝવણો મૂકે છે અને લોકો પોતાની સમજ અને જાણકારી અનુસાર તેનો જવાબ આપતા હોય છે. આ વેબસાઇટ ખૂબ જાણીતી અને લોકપ્રિય છે.

ક્વોરા પર પૂછાયો સવાલ
આ વેબસાઇટ પર એક યૂઝરે સવાલ કર્યો હતો કે, શું વાસ્તવમાં આપણા દેશને બુલેટ ટ્રેનની જરૂર છે? આ સવાલના જવાબમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, રેલવે નેટવર્કને અપડેટ કરવાની જરૂર છે, જેમાં હાઇ-સ્પીડ રેલ કોરિડોરના વિકાસનો પણ સમાવેશ થાય છે. આનાથી ભારત રેલવેના વિશ્વમાં સ્કેલ, સ્પીડ અને સ્કિલના મામલે ઇન્ટરનેશનલ લીડર બની શકશે.

ઇન્ફોગ્રાફિક્સ પણ કર્યા શેર
રેલવે મંત્રીએ આ સાઇટ પર માત્ર પોતાનો જવાબ જ નથી લખ્યો, પરંતુ સાથે જ પોતાની વાતના સમર્થન માટે કેટલાક ઇન્ફોગ્રાફિક્સ પણ શેર કર્યા છે. તેમના તરફથી શેર કરવામાં આવેલ ઇન્ફોગ્રાફિક્સ ભારતમાં બુલેટ ટ્રેનની ઉપયોગિતા અને મોદી સરકારના વિઝન અંગે છે.

રાજધાનીનું આપ્યું ઉદાહરણ
પિયુષ ગોયલે કહ્યું કે, નવી ટેક્નોલોજીનો એટલી સરળતાથી સ્વીકાર નથી થતો, પરંતુ ઇતિહાસ પરથી આપણે જણી શકીએ છીએ કે આવી નવી ટેક્નોલોજી દેશ માટે ફાયદાકારણ નીવડી છે. ઉદા. તરીકે વર્ષ 1968માં રાજધાની ટ્રેનનો પણ વિરોધ થયો હતો. તે સમયે રેલવે બોર્ડના ચેરમેને પણ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ આજે રાજધાની એક એવી ટ્રેન છે, જેમાં લગભગ દરેક નાગરિક મુસાફરી કરે છે.

બુલેટ ટ્રેનની યોજના પણ ભારતીય રેલવે અને ભારતીય નાગરિકોની મુસાફરીને રેવોલ્યુશનાઇઝ કરવામાં મદદ કરશે. આ અંગે તેમણે મુદ્દાવાર જાણકારી આપી હતી.

- મેક ઇન ઇન્ડિયા અને ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી આ યોજનાના મુખ્ય હેતુઓ છે. આ યોજનામાં રોકવામાં આવેલ મોટા ભાગની રકમનો ઉપયોગ ભારતમાં જ થશે.
- ભારત દ્વારા જાપાનની જે શિંકન્ઝેન ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે, તે અત્યંત સુરક્ષિત છે, આ ટ્રેન મોડી નહીં પડે અને અકસ્માતમાં મુસાફરોના મૃત્યુની શક્યતા નહિંવત છે.
- 7-8 કલાકની મુસાફરી 2 કલાકમાં કરી શકાશે.
- આ યોજનાના નિર્માણ કામ દરમિયાન અને પછી પણ ભારતમાં રોજગારીમાં વધારો થશે
- બુલેટ ટ્રેન માટે ટ્રેનિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે, જેને કારણે સ્કિલ મેન પાવરમાં પણ વધારો થશે
- હાલના તબક્કે લગભગ 300 યુવા અધિકારીઓ જાપાનમાં હાઇસ્પીડ ટ્રેક ટેક્નોલોજીની ટ્રેનિંગ લઇ રહ્યાં છે.
- બુલેટ ટ્રેનની ટેક્નોલોજી ઓછામાં ઓછુ પ્રદૂષણ ઉત્પન્ન કરશે












Click it and Unblock the Notifications
