સરબજીતના મૃત્યુ અંગેનું સત્ય બહાર આવવું જોઇએ : નરેન્દ્ર મોદી
લાહોરની હોસ્પિટલમાં જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાઇ રહેલા સરબજીતના પ્રાણ છૂટ્યા ત્યાર બાદના કલાકમાં ટ્વિટર પર કરેલા ટ્વિટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે "સરબજીત સિંહના મુદ્દે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેએ લોકોને ગેરમાર્ગે દોર્યા છે." ઉલ્લેખનીય છે કે જેલમાં ફાંસીની સજા પામેલા બે કેદીઓ દ્વારા સરબજીત સિંહ પર ઘાતક હુમલો કરવામાં આવ્યા બાદ 26 એપ્રિલ, 2013ના રોજ તેને પાકિસ્તાનના લાહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પહેલા મોદીએ લખ્યું હતું કે "સબરજીત સિંહનું મૃત્યુ અત્યંત ખેદજનક ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે. ભગવાન તેના પરિવારને આ દુ:ખ ઝેલવાની શક્તિ આપે." નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે "કેન્દ્ર સરકાર પાકિસ્તાનના અમાનવીય વ્યવહારનો આકરો જવાબ આપવામાં નિષ્ફળ ગઇ છે. તાજેતરમાં ભારતીય સૈન્યના જવાનોનું માથું ધડથી અલગ કરી દેવાની ઘટના અને સરબજીત સિંહનો કિસ્સો તેના તાજા ઉદાહરણ છે."
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના જવાનોએ 8 જાન્યુઆરીના રોજ ભારતના જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને બે ભારતીય જવાનોની હત્યા કરી હતી. તેમાંથી એકનું માથું કાપીને તેઓ લઇ ગયા હતા.