સુરેશ પ્રભુએ રેલવે અને યાત્રીઓના ફાયદા માટે લીધા મહત્વના પગલા
રેલવેને થઇ રહેલા નુકશાનને જોતા સુરેશ પ્રભુએ કેટલીક રજૂઆતો કરી છે જેને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવશે...
કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ ખોટ કરી રહેલી રેલવેની આવક વધારવાની કોશિશોમાં લાગેલા છે. મુસાફરો પાસેથી દર વર્ષે રેલવે 50,000 કરોડ રુપિયાનો બિઝનેસ કરે છે પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આ બિઝનેસમાં ઓછામાં ઓછા 20,000 કરોડ રુપિયાનો ઘટાડાના અણસાર છે.
રેલવેને થઇ રહેલી ખોટને જોતા સુરેશ પ્રભુએ કેટલીક રજૂઆતો રેલવે બોર્ડને મોકલી છે. આ રજૂઆતોને રેલવે બોર્ડે ઉપયોગી માની છે અને કહેવામાં આવે છે કે આને થોડા દિવસોમાં લાગૂ કરવામાં આવશે. આવો, આવી કેટલીક રજૂઆતો વિશે જણાવીએ જે આપના માટે ઘણી ઉપયોગી છે.
ટિકિટ પર મળતી સબસિડી છોડવાનો વિકલ્પ
સુરેશ પ્રભુએ એક મહત્વપૂર્ણ રજૂઆતમાં કહ્યુ છે કે યાત્રીઓને ટિકિટ પર મળનારી સબસિડી છોડવાનો વિકલ્પ આપવામાં આવશે. આમાં યાત્રી પોતાની ઇચ્છા અનુસાર જેટલી ઇચ્છે એટલી સબસિડી છોડી શકે છે. રેલવેનું કહેવુ છે કે તે યાત્રીઓ પાસેથી ભાડાના 57% વસૂલ કરે છે. આનો મતલબ એ છે કે બાકી 43% ની સબસિડી દરેક ટિકિટ પર આપવામાં આવે છે. જેમ કે ગેસ પર મળતી સબસિડી લોકો પોતાની મરજીથી છોડે છે. એવી જ રીતનો વિકલ્પ રેલવે ટિકિટ માટે પણ હશે.
રાજધાની કે સ્પેશિયલ ટ્રેનમાં વિશેષ ભાડુ
સુરેશ પ્રભુની બીજી મહત્વની રજૂઆત રાજધાની કે શતાબ્દી જેવી ખાસ પ્રીમિયમ ટ્રેનોના ભાડા અંગે છે જેની ટિકિટો પર સબસિડી આપવામાં આવતી નથી. આ રજૂઆતમાં આ ટ્રેનોમાં ખાસ કરીને વીકેંડ પર પેકેજ કે સ્પેશિયલ ફેરની વાત કહેવામાં આવી છે. આનાથી ભાડુ થોડુ ઓછુ થશે જેથી યાત્રીઓ બીજા વિકલ્પના બદલે આ ટ્રેનોને પ્રવાસ માટે પસંદ કરી શકશે.
ટ્રેનોમાં ખાલી બર્થ પર 10% ની છૂટ
સુરેશ પ્રભુએ ત્રીજી મહત્વપૂર્ણ રજૂઆત એ કરી છે કે ટ્રેનોમાં ખાલી બર્થ પર છેલ્લા સમયમાં ટિકિટ બુકિંગ પર 10% ની છૂટ આપવામાં આવશે. 10% છૂટ મળવા પર સુરેશ પ્રભુને આશા છે કે આનાથી ટિકિટોનું વેચાણ વધી જશે અને બર્થ ખાલી નહિ જાય.
ઇ-ટિકિટ પર ટિકિટ સબસિડી છોડવાનો પ્રોજેક્ટ
સુરેશ પ્રભુએ પોતાની રજૂઆતો 24 નવેમ્બરે રેલવે બોર્ડને મોકલી છે. રેલવે બોર્ડના અધિકારીઓનું કહેવુ છે કે ઘણી રજૂઆતો ખૂબ ઉપયોગી છે અને તેને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવશે. ગેસ સબસિડી છોડવાની યોજનાને લાગૂ કરવી એટલા માટે સરળ રહી કારણકે તેમાં ગેસ કનેક્શન સાથે ગ્રાહકોના બેંક એકાઉંટને જોડવામાં આવ્યુ છે.
રેલવેની સબસિડી છોડવાનો મામલો એટલો સરળ નથી. અધિકારીઓનું કહેવુ છે કે હાલમાં માત્ર ઇ-ટિકિટ પર પાયલટ પ્રોજેક્ટ તરીકે આને શરુ કરવામાં આવશે. આ યોજનાને બધી ટિકિટો માટે લાગૂ કરવા માટે રેલવે એક નવુ સ્ટ્રક્ચર બનાવવા પર કામ કરી રહી છે. સુરેશ પ્રભુએ આશા રાખી છે કે આ રજૂઆતો લાગૂ થવાથી રેલવેને થનાર નુકશાનમાં ઘટાડો થશે.