મુલાયમે રામગોપાલને ફરીથી કર્યા પક્ષમાંથી બહાર, 5મીએ બોલાવ્યુ અધિવેશન
મુલાયમે રામગોપાલને ફરીથી પક્ષમાંથી બહાર કાઢી 5મીએ ફરીથી અધિવેશન બોલાવ્યુ છે. મુલાયમે અધિવેશનમાં અખિલેશ યાદવના પ્રસ્તાવોને ગેરકાયદેસર ગણાવ્યા હતા...
અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવે મુલાયમની મરજી વિરુદ્ધ બોલાવેલા રાષ્ટ્રીય અધિવેશનમાં 4 પ્રસ્તાવ પાસ કરાવ્યા હતા. જો કે ત્યારબાદ મુલાયમે રામગોપાલને ફરીથી પક્ષમાંથી બહાર કાઢી 5મીએ ફરીથી અધિવેશન બોલાવ્યુ છે. મુલાયમે અધિવેશનમાં અખિલેશ યાદવના પ્રસ્તાવોને ગેરકાયદેસર ગણાવ્યા હતા. આ અધિવેશન બોલાવવા બદલ રામગોપાલને પક્ષમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢ્યા હતા. કાર્યકર્તાઓએ લખનઉમાં પક્ષના કાર્યાલયની બહાર તોડફોડ કરી હતી. મુલાયમે જણાવ્યુ હતુ કે તેમણે જાહેર કરેલી યાદી ફાઇનલ છે. બાકીના ઉમેદવારોની યાદી પણ તે જાહેર કરશે.
આજે લખનઉમાં જે કંઇ પણ થયુ છે તેને જોઇને તો એવુ જ લાગે છે કે હવે શિવપાલ યાદવ પાસે કોર્ટમાં ગયા સિવાય કોઇ રસ્તો બચતો નથી. રાજનીતિની ઉંડી સમજ ધરાવતા લોકોના હિસાબે હવે શિવપાલ પાસે પોતાની ઇમેજ બચાવવા માટે કોર્ટનો જ વિકલ્પ જ બચે છે.જો કે વિરોધીગઢ અને અખિલેશના મંત્રીએ તો કહી દીધુ કે આ બધુ એક સમજી વિચારેલી રણનીતિ જ છે પરંતુ જો શાંતિથી વિચારવામાં આવે તો વિરોધીઓનો આ આરોપ પાયાવિહોણો નથી.
જો સમગ્ર ઘટનાક્રમ પર નજર નાખીએ તો મુલાયમ સિંહનો દરેક નિર્ણય ભલે તે અખિલેશ અને રામગોપાલને પાર્ટીમાંથી બહાર કાઢવાનો હોય કે પાછા બોલાવવાનો હોય તેમણે એકલાએ જ લીધો છે. જેના બદલે આ બધા નિર્ણય લેવા માટે પાર્ટીમાં એક પૂરી વ્યવસ્થા છે. ઉમેદવારની યાદી જારી કરવાનો અધિકાર પણ સીધે સીધો અધ્યક્ષને નથી. એવામાં મુલાયમે દરેક નિર્ણય પર પોતાની મોહર કેવી રીતે લગાવી દીધી એ એક મોટો સવાલ છે.
વળી બીજી તરફ મુલાયમના દરેક જોડનો તોડ રામગોપાલ પાસે છે. તેમણે જે રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યુ છે તે તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તે રાષ્ટ્રીય મહાસચિવ હોવાના નાતે આ નિર્ણય લઇ શકે છે. આવી સ્થિતિમાં મહાસચિવ દ્વારા બોલાવવામાં આવેલ સંમેલનને જો કાયદેસર માનવામાં આવે તો તેમાં જે પ્રસ્તાવ પાસ થયા તે પણ ખોટા ના મનાય. રાજનીતિ અને સંવિધાનની જાણકારી રાખનાર મુલાયમને પણ ક્યાંકને ક્યાંક ખબર છે કે તેમના દ્વારા લેવાયેલ બધા નિર્ણય બરતરફી, બરતરફી પાછી ખેચવી આ બધી વસ્તુઓને અદાલતમાં યોગ્ય ઠેરવી શકાતી નથી. તે ભલે કહે કે તે શિવપાલ સાથે છે પરંતુ તેમનું દરેક પગલુ તેમની વિરુદ્ધ દેખાઇ રહ્યુ છે.