ઇમાનદાર પાર્ટી અને નેતા જ બદલી શકે છે યુપીની છબીઃ વરુણ ગાંધી
વરુણ ગાંધીએ અનાજ મંડી મેદાનમાં હજારો સમર્થકોને સંબોધિત કરતા કહ્યું કે, યુપીમાં માયાવતી અને મુલાયમ શાસનકાળમાં સુવ્યવ્થિત રીતે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળ્યું છે. આપણે એક કે બે લાખ કરોડના ગોટાળાની વાતો કરીએ છીએ પરંતુ ધ્યાન આપવા લાયક વાત એ છે કે આ માત્ર આંકડા નથી. તેમણે કહ્યું કે, આ પૈસાથી લાખો શાળાઓ ખોલી શકાઇ હોત અને લાખો નવયુવાનોને રોજગારી આપી શકાઇ હોત.
નોંધનીય છે કે, વરુણ ગાંધીને તાજેતરમાં રાજનાથ સિંહની નવી ટીમમાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે, ત્યારબાદથી એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, ભાજપ યુપીમાં વરુણ ગાંધીને એક મજબૂત હથિયાર તરીકે ઉપયોગમાં લેવા માટે રોડમેપ તૈયાર કરી ચૂક્યું છે. આ વચ્ચે એવી અટકળો પણ લગાવવામાં આવી છે કે વરુણ ગાંધીને પાર્ટી આ વખતે સુલ્તાનપુર સંસદીય બેઠકથી ચૂંટણી લડાવવાની યોજના બનાવી ચુકી છે. બરેલીમાં આ રેલી બાદ હવે વરુણ ગાંધી ચોથી મેના રોજ લખનઉમાં ધરણા પર બેસશે. આ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે બુધવારે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુપીમાં જ્યારે પણ સપા અને બસપાની સરકાર બને છે, ત્યારે યુપીમાં ગુંડાગીરી વધી જાય છે.
બરેલીમાં આયોજિત સ્વાભિમાન રેલીમાં હજારોની મેદનીને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષએ ઉક્ત વાત કરી છે. રાજનાથે કહ્યું કે, યુપીમાં કાયદો વ્યવસ્થા કથળી છે. યુપીમાં સપા અને બસપાની સરકાર બનતા જ ગુંડાઓ મોજમાં આવી જાય છે. કેન્દ્રીય તપાસ એજન્સીના ડરથી સપા અને બસપા કેન્દ્રને સમર્થન આપી રહી છે. સપા અને બસપાએ આ ભયમાંથી બહાર આવવું પડશે.