Varun Gandhi : શું વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે? પ્રિયંકા સુધી પહોંચી વાત
વરુણ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે હંમેશા વાતચીત થતી રહી છે, પરંતુ હવે બંને વચ્ચેની વાતચીતે રાજકીય વળાંક લીધો છે અને પ્રિયંકાએ પાર્ટી બદલવાની વાત કરી છે.
Varun Gandhi : હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પહેલા અખિલેશ યાદવ અને તમામ વિપક્ષી પાર્ટીઓએ ભારત જોડો યાત્રામાં શામેલ થવાની વાત કહી હતી. આ વચ્ચે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતા અને પીલીભીતથી સાંસદ વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વરૂણ ગાંધી સંજય ગાંધી અને મેનકા ગાંધીના પુત્ર છે. સંજય ગાંધી રાજીવ ગાંધીના ભાઇ છે. સમય સમય પર પોતાની જ પાર્ટી સામે બળવાખોર વલણ દાખવનારા વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવાના સવાલના રાહુલ ગાંધીના જવાબના કારણે ચર્ચાએ જોર પકડ્યું હતું. જે બાદ હવે આ ચર્ચા કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સુધી પહોંચી છે.
આ સમગ્ર રાજકીય પ્રકરણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીના કારણે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરુણ ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે હંમેશા વાતચીત થતી રહી છે, પરંતુ હવે બંને વચ્ચેની વાતચીતે રાજકીય વળાંક લીધો છે અને પ્રિયંકાએ પાર્ટી બદલવાની વાત કરી છે.
રાજકીય નિષ્ણાતોના મતે 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વરુણ ગાંધી પાર્ટી બદલી શકે છે અને પોતાના માટે સુરક્ષિત બેઠક શોધી શકે છે. મળતી માહિતી મુજબ વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાની જવાબદારી પાર્ટીના મહાસચિવ અને પિતરાઈ બહેન પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી છે.
વરુણ ગાંધી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સખત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. બીજી તરફ તાજેતરના એક વીડિયોમાં તેઓ કહેતા જોવા મળ્યા હતા કે, તેમને પંડિત નેહરુ કે કોંગ્રેસથી કોઈ વાંધો નથી. તે દેશમાં એવું રાજકારણ ઈચ્છે છે, જે લોકોને એક કરે અને તેમના વચ્ચે મતભેદ ન ફેલાવે. તેમના નિવેદન બાદ રાહુલ ગાંધીને વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવા અને તેમની યાત્રામાં શામેલ થવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની યાત્રામાં દરેકનું સ્વાગત છે, પરંતુ વરુણ ગાંધી જો ભારત જોડો યાત્રામાં જોડાશે, તો મુશ્કેલીનો સામનો કરવો પડશે. કારણ કે, તેઓ ભાજપના સાંસદ છે. કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થવા પર રાહુલે જણવ્યું હતું કે, આ માટે તેમણે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પૂછવું જોઈએ. તમામ નિવેદનો વચ્ચે એવું વાતાવરણ સર્જાવા લાગ્યું છે કે, જે કારણે એવા અણસાર મળી રહ્યા છે કે, ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ વરુણ ગાંધી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.