વિહિપ 25 ઓગસ્ટથી શરૂ કરશે રામ મંદિર ઝુંબેશ
પોતાની ઝુંબેશ અંગે વિહિપે આજે જણાવ્યું કે રામ મંદિરના પ્રથમ તબક્કાની શરૂઆત આવતા મહિને 25 ઓગસ્ટથી કરવામાં આવશે. જેમાં સાધુ સંત અયોધ્યામાં ચોરાસી કોસી પરિક્રમાની શરૂઆત કરશે. આ સાથે તેઓ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો સંકલ્પ પણ લેશે.
વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ શર્માએ જણાવ્યું કે "કેન્દ્ર સરકાર આ ચોમાસુ સત્રમાં અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ માટે કાયદો બનાવશે. જો ચોમાસુ સત્રમાં આ કાયદો બન્યો નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ અને તેના અન્ય સહયોગી સંગઠન દેશમાં રામ મંદિર નિર્માણ માટે આંદોલન કરશે."
તેમણે જણાવ્યું કે "આંદોલનનું પ્રથમ ચરણ 25 ઓગસ્ટથી શરૂ થશે. જ્યારે ચોરાસી કોસી પરિક્રમા બસ્તી જિલ્લાથી શરૂ થશે. તથા 13 સપ્ટેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના સંકલ્પની સાથે સમાપ્ત થશે. આ પરિક્રમાના માર્ગમાં બસ્તી ઉપરાંત આંબેડકર નગર, ફેઝાબાદ, બારાબાંકી અને ગોંડા જિલ્લા આવશે. આ વિસ્તારોમાંથી હજારો રામ ભક્ત આ પરિક્રમામાં સામેલ થશે."
શર્માએ એમ પણ જણાવ્યું કે આમ કરવા છતાં સરકાર ચેતશે નહીં તો ઓક્ટોબર મહિનાથી મોટા આંદોલનની તૈયારી પણ વિહિપ કરી રહ્યું છે.