રામ મંદિર મુદ્દે વિહિપની યાત્રા પર UPમાં પ્રતિબંધ
અયોધ્યા, 20 ઓગસ્ટ : વિશ્વ હિન્દુ પરિષદે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિર બાંધકામની માગણી પર દબાણ લાવવા માટે અયોધ્યાથી 84 કોસી પરિક્રમા યાત્રા શરૂ કરવાની પરવાનગી માંગી હતી. વિશ્વ હિન્દુ પરિષદને આ બાબતની પરવાનગી આપવાનો ઉત્તર પ્રદેશ સરકારે ઈનકાર કરી દીધો છે.
જેના પગલે પરિક્રમા મામલે અખિલેશ સિંહ યાદવની સરકાર અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચે ઘર્ષણની સંભાવના વધી ગઈ છે. સરકાર દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે તે નવી પરંપરા શરૂ કરવાની પરવાનગી કોઈ પણ રીતે આપશે નહીં, કારણ કે તેનાથી અયોધ્યા વિસ્તારમાં શાંતિનો ભંગ થવાનું જોખમ છે.
ઉત્તરપ્રદેશના મુખ્ય ગૃહ સચિવ આર એમ શ્રીવાસ્તવે સરકારના નિર્ણયની જાણકારી આપતાં પત્રકારોને કહ્યું કે પરંપરા મુજબ 84 કોસી પરિક્રમા માર્ચમાં જ કાઢવામાં આવે છે. હવે આ વખતે ઓગસ્ટમાં કાઢવા દઈએ તો નવી પરંપરા શરૂ થાય. તેનાથી અયોધ્યા તથા તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ ભંગ થાય. સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ સ્થળે યથાવત્ સ્થિતિ રાખવાના આપેલા આદેશને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિહિપને પરિક્રમા માટે પરવાનગી આપી નથી.