જૈન મુનિ વિરુદ્ધ બોલનાર વિશાલ ડડલાની સામે અમદાવાદમાં ફરિયાદ
હરિયાણા વિધાનસભામાં જૈન સાધુ તરુણ સાગરે જે ધર્મ અને રાજનીતિ પર પ્રવચન આપ્યું હતું. તે બાદ આપ સાથે જોડાયેલા જાણીતા ગાયક અને મ્યુઝિક કમ્પોઝર વિશાલ ડડલાનીએ તરુણ સાગરજી પર ટિપ્પણી કરી હતી. જેના પગલે તેમના અનુયાયીઓએ આજે વિશાલ ડડલાની વિરુદ્ધ અમદાવાદ એલિસબ્રીજ ખાતે ફરિયાદ નોંધાવી છે. અને તેની ટિપ્પણી દ્વારા તેમની ધાર્મિક લાગણી દુભાવી છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે આ મામલે જૈન સાધુ તરુણ સાગરજીએ પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે વિશાલ ડડલાનીને જૈન ધર્મ વિષે કશું પણ નથી ખબર. એટલું જ નહીં તેમણે કહ્યું કે દિલ્હી વિધાનસભામાં પણ આ પ્રકારનું પ્રવચન થવાનું હતું પણ છેલ્લા સમયે તે ના થયું. ત્યારે શું છે આ આખો મુદ્દો જાણો અહીં.
જૈન મુનિ તરુણ સાગરજી
નોંધનીય છે કે જૈન મુનિ તરુણ સાગરજી તેમની તેમના ભાષણો માટે જાણીતા છે. અને અનેક લોકો તેમના અનુયાયી છે. અને માટે જ હરિયાણા વિધાનસભામાં તેમને ધર્મ અને રાજનીતિ પર પ્રવચન આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
વિશાલ ડડલાની
જો કે તેમના આ પ્રવચન બાદ અનેક લોકો આ વાતનો વિરોધ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જાણીતા ગાયક વિશાલ ડડલાનીનો પણ સમાવેશ થાય છે. તેમણે એક વિવાદિત ટ્વિટ કરી કહ્યું હતું કે "તમે આ પ્રકારના લોકોને મત આપ્યા તો તમે પણ આ પ્રકારના બકવાસ માટે જવાબદાર રહેશો. અચ્છે દિન નહીં બિના કચ્છે દિન આ ગયે"
કેજરીવાલની લાલ આંખ
જો કે આ મામલે વિવાદ વધતા વિશાલે ટ્વિટ ડિલટ કરી નાખ્યું હતું અને માફી પણ માંગી હતી. જો કે કેજરીવાલે પણ આ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી કે હું વિશાલની આ ટિપ્પણીથી સહમત નથી. અને તેમણે વિશાલને પણ આ પ્રકારની ટિપ્પણી કરવાની ના પાડી હતી.
જૈન મુનીએ શું કહ્યું?
જો કે આ સમગ્ર મામલે જૈન મુનિ તરુણ સાગરજીએ કહ્યું કે વિશાલ ડડલાનીને જૈન ધર્મ અને તેના વિશ્વાસ વિષે કંઇ નથી ખબર. સાથે જ તેમણે કહ્યું કે હું તેની વાતોની નારાજ નથી. માટે માફી માંગવાની કોઇ વાત જ નથી આવતી. વધુમાં તેમણે જણાવ્યું કે 15 માર્ચે દિલ્હી વિધાનસભા ખાતે પણ આવું પ્રવચન થવાનું હતું. જે અંગે ખુદ અરવિંદ કેજરીવાલે તરુણ સાગરજીને નિમંત્રણ આપ્યું હતું.
મુંબઇમાં પણ કેસ
નોંધનીય છે કે અમદાવાદના એલિસબ્રિજ પોલિસ સ્ટેશનમાં જે રીતે આ બાબતે કેસ નોંધવામાં આવ્યો છે. તે જ રીતે મુંબઇમાં પણ ચેબુરમાં વિશાલ ડડલાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.