અમે બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરીશું : ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ
અમે બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરીશું : ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ
પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું કે જો આગામી સમયમાં રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો તેઓ પશ્ચિમ બંગાળમાં ગુજરાત મૉડલ લાગુ કરશે.
ધ હિંદુના એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે, “અગાઉની તૃણમૂળ કૉંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારે પશ્ચિમ બંગાળના વિકાસ માટે પૂરતાં પગલાં લીધાં નથી, જે કારણે રાજ્ય પ્રવાસી મજૂરોનું ગઢ બની ગયું.”
તેમણે આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, “મમતા દીદી અવારનવાર કહી ચૂક્યાં છે કે અમે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવા માગીએ છીએ. હું કહું છું કે અમે બિલકુલ એવું જ કરીશું અને પશ્ચિમ બંગાળને પણ એક વિકસિત રાજ્ય બનાવીશું. અમારા લોકોએ આગામી સમયમાં રોજીરોટી માટે ગુજરાત નહીં જવું પડે. અમે એ વાત સુનિશ્ચિત કરીશું કે કામની પૂરતી તકોનું નિર્માણ રાજ્યમાં જ કરી શકાય.”
દિલ્હીમાં કોરોના વધુ વકરશે : નીતિ આયોગ
નીતિ આયોગના તાજેતરના એક અનુમાન મુજબ દિલ્હીમાં કોરોના વાઇરસને લઈને અભૂતપૂર્વ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર દિલ્હીમાં દર દસ લાખની વસતીએ કોરોનાના 500 કેસો નોંધાવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે.
નોંધનીય છે કે હાલમાં દિલ્હીમાં દર દસ લાખની વસતીએ 361 કોરોનાના મામલા સામે આવી રહ્યા છે. તહેવારોની સિઝનને કારણે આ પ્રમાણ વધીને 500ની ખતરનાક સપાટીએ પહોંચવાનું અનુમાન વ્યક્ત કરાયુ છે.
કેસોમાં શક્ય વધારાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં ICU પથારીઓની સંખ્યા વધારીને 6431 કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે હાલમાં દિલ્હીમાં 3491 ICU પથારીઓ છે જે પૈકી 88 ટકા પથારીઓ ભરાયેલી છે.
ગુજરાતમાં નારગોલ બંદરના વિકાસ માટે નવેસરથી બોલી લાગશે
https://twitter.com/bbcnewsgujarati/status/1328311106301997056
ગુજરાત સરકાર નારગોલ બંદરના વિકાસ માટે નવેસરથી બોલીપ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે પોર્ટ પ્રોજેક્ટ માટે ચાર હજાર કરોડનું કામ જે કાર્ગો મોટર્સને આપવામાં આવ્યું હતું, તે ગુજરાત મેરિટાઇમ બૉર્ડ દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2012માં કાર્ગો મોટર્સ અને ઇઝરાયલ પોર્ટ્સ કંપનીના કન્સોર્ટિયમને ઑગસ્ટ 2012માં નારગોલ બંદરને વિકસાવવાનું કાર્ય સોંમપવામાં આવ્યું હતું..
ઇઝરાયલ પોર્ટ દ્વારા ટૂંક સમયમાં જ આ કામથી પીછેહઠ કરી લેવાતા બંદરનું વિકાસકાર્ય ખોરંભે ચઢી ગયું હતું.
એક સરકારી ઑફિસરના જણાવ્યાનુસાર, “કાર્ગો મોટર્સને બંદરના વિકાસ માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો પરંતુ તેઓ નક્કી કરેલી સમયમર્યાદામાં આ કામ પૂરું નહોતા કરી શક્યા. ગુજરાત મેરિટાઇમ બૉર્ડ દ્વારા કંપનીને અપાયેલ લેટર ઑપ ઇન્ટેન્ટ ગત વર્ષે રદ કરી દેવાયો હતો. હવે સરકાર આ કામ માટે નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાનું વિચારી રહી છે.”
RCEPમાં ન જોડાવાથી ભારત આર્થિક પ્રગતિની તક ચૂકી જશે : ચીની સરકારી મીડિયા
ચીનના સરકારી મીડિયા દ્વારા રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનોમનિક પાર્ટનરશિપ (RCEP)માં ન જોડાવવાના ભારતના નિર્ણયને ભૂલભરેલો ગણાવ્યો છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે RCEPમાં ન જોડાવાના ભારતના નિર્ણયના કારણે દેશ આર્થિક વિકાસની લાંબાગાળાની તકો જતી કરી રહ્યો છે.
વિયેતનામની મેજબાનીવાળી આ ઑનલાઇન સેરમનીમાં આસિયાન દેશો, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
આઠ વર્ષના પ્રયાસો બાદ સફળ થયેલી RCEPની સમજૂતી અંતર્ગત સભ્ય દેશોની કોરોના મહામારીને કારણે અટવાયેલી આર્થિક પ્રગતિ ફરીથી વેગવાન બનશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. નોંધનીય છે કે આ દેશો વિશ્વની કુલ GDPના 30 ટકા GDP ધરાવે છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=m_-Tnktj4Qk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો