હવે OTP પર આ ટ્રેનોની ટિકિટ બુક નહીં થાય, જુઓ લિસ્ટ
પશ્ચિમ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. પારદર્શિતા વધારવા હવે અમદાવાદ મંડળમાંથી ઉપડતી વધુ ત્રણ ટ્રેનોમાં ટિકિટ બુક કરવા માટે OTP (વન ટાઈમ પાસવર્ડ) વેરિફિકેશન ફરજિયાત બનશે. આ નવો નિયમ 18 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે.

રેલવે બોર્ડની સૂચના મુજબ, આ પગલું તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ રોકવા અને ખરા મુસાફરોને ટિકિટ સુનિશ્ચિત કરવા લેવાયું છે. તત્કાલ ક્વોટામાં ટિકિટ બુક કરતી વખતે મુસાફર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ટિકિટ જારી કરવા માટે આ પાસવર્ડનું સફળ સત્યાપન ફરજિયાત રહેશે.
અમદાવાદ મંડળના મુસાફરોએ નોંધ લેવી કે 18 ડિસેમ્બર 2025 થી નીચેની ત્રણ ટ્રેનોમાં તત્કાલ ટિકિટ માટે OTP આવશ્યક બનશે: ટ્રેન નં. 19223 સાબરમતી - જમ્મુ તાવી એક્સપ્રેસ, ટ્રેન નં. 19316/19315 અસારવા - ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ, અને ટ્રેન નં. 19489 અમદાવાદ - ગોરખપુર એક્સપ્રેસ.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવેએ 1 અને 5 ડિસેમ્બરથી જ કેટલીક પ્રીમિયમ ટ્રેનોમાં આ સિસ્ટમ શરૂ કરી દીધી છે. તેમાં સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ (12957), અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ (12297), સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (12462), હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ નવો નિયમ માત્ર ઓનલાઈન બુકિંગ પૂરતો મર્યાદિત નથી. રેલવે સ્ટેશનના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર, અધિકૃત એજન્ટ, IRCTC વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન દ્વારા – દરેક પ્લેટફોર્મ પર તત્કાલ ટિકિટ બુક કરતી વખતે OTP આપવો ફરજિયાત રહેશે.
રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે બુકિંગ સમયે તેઓ પોતાનો સક્રિય અને સાચો મોબાઈલ નંબર જ આપે. આનાથી OTP મેળવવામાં અને વેરિફિકેશન પ્રક્રિયામાં કોઈ વિલંબ થશે નહીં, જેથી મુસાફરો સરળતાથી પોતાની ટિકિટ મેળવી શકશે.












Click it and Unblock the Notifications
