નરેન્દ્ર મોદી અને અડવાણીના દિલ ના મળ્યા તો શું થશે?
ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી જાહેર સભા ખાસ્સી ચર્ચામાં રહી. આ ચર્ચાનું કેન્દ્ર બિંદુ નરેન્દ્ર મોદીને સાંભળવા આવેલા લોકોની સંખ્યા કે નરેન્દ્ર મોદીનું ભાષણ ન હતા. લોકોની નજરમાં તો સૌથી વધારે ઉત્સુકતા અને મોઢામાં સૌથી વધારે ચર્ચા એક જ મંચ પર જોવા મળેલા નરેન્દ્ર મોદી અને તેમના ગુરુ તથા ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીના એક બીજા પ્રત્યેના વલણ અને એક બીજા માટેના મન રહ્યાં.
આ મહાસભામાં જેને કાર્યકરોનો મહાકુંભ ગણાવવામાં આવ્યો હતો તેમાં નરેન્દ્ર મોદીએ મંચ પર અડવાણીના ચરણસ્પર્શ કર્યા, અડવાણીએ આ બાબતની કરેલી અવગણનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે પડેલા અંતરમાં એક મંચ કોઇ નીકટતા લાવી શક્યો નથી. નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારીથી અડવાણી જરા પણ ખુશ નથી એ વાતમાં કોઇ શક નથી. હવે પ્રશ્ન એ છે કે ભાજપમાં આ સ્થિતિ યથાવત રહી, નરેન્દ્ર મોદી અને અડવાણીના દિલ ના મળ્યા તો તેના પરિણામો કેવા આવી શકે છે? આ મનદુ:ખની અસર ભાજપને નુકસાન કરશે? અને જો કરશે તો કેટલું કરશે એ વિચારવાની વાત છે. આવો જોઇએ આ સ્થિતિ ચાલુ રહી તો ભાજપે કેવી પરિસ્થિતિઓનો સામમો કરવો પડી શકે છે?

અત્યારથી જ દુષ્પરિણામો શરૂ
જો આપ એમ વિચારતા હશો કે આ મનભેદના પરિણામ ભાજપને ચૂંટણી બાદ જ જોવા મળશે તો આપ ભૂલ કરી રહ્યા છો. આ મનભેદના પરિણામો તો અત્યારથી જ જોવા મળી રહ્યા છે. સૌથી પહેલું પરિણામ પાર્ટીમાં ઉચ્ચ સ્તરે આંતરિક કલેહ વધ્યો છે. પાર્ટીમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ બાબત કોઇ પણ ટીમ માટે ઘાતક પરિણામો લાવી શકે છે.

મોદીને સંઘનું સમર્થન તો છે પણ...
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવા માટે સંઘનું પીઠબળ ઘણું કામ કરી ગયું છે. આ કારણે પાર્ટીમાં સૌ કોઇ આ બાબતને મને કે કમને સ્વીકારી રહ્યા છે. જેના પગલે ભોપાલમાં યોજાયેલા પાર્ટી કાર્યકરોના મહાકુંભમાં અડવાણી હાજર તો રહ્યા પણ નરેન્દ્ર મોદીથી સતત અંતર જાળવી રાખ્યું હતું. તેમણે મોદીથી દૂર બેસવાનું પસંદ કર્યું હતું. નરેન્દ્ર મોદી એકવાર વડાપ્રધાન બની તો શકે છે પણ પછી પાર્ટીમાં તેમને પીઠબળ આપનારા નેતાઓ જ તેમની પીઠમાં ખંજર ભોંકી શકે છે.

મત મેળવવામાં માત ખાઇ શકે ભાજપા
આ સભામાં સ્ટેટ હેંગરથી નરેન્દ્ર મોદી અને અડવણી એક જ હેલિકોપ્ટરથી આવ્યા હતા તે અલગ વાત છે. પણ અડવાણીની બોડી લેન્ગ્વેજ સ્પષ્ટ રીતે ચાડી ખાતી હતી કે નરેન્દ્ર મોદીથી તેઓ નારાજ છે. મોદી માટે કહેવા ખાતર અડવાણીએ ભલે બે ચાર સારી વાતો કરી હોય પણ તેની અસર કાર્યકરો અને છેવટે મતો પર પડી શકે છે. મોદી જ્યારે બૂથ સ્તરે કોંગ્રેસના સફાયાની વાત કરી રહ્યા છે ત્યારે ભાજપને આંતરિક ડખો જ ડૂબાડી દે તેવી સ્થિતિ છે.

કાર્યકરોને ઉત્સાહિત કરવાની જરૂર
આ માટે જોહેર સમારંભોમાં નરેન્દ્ર મોદી અને અડવાણીએ એક બીજાને અનુકૂળ રહીને માત્ર ચૂંટણી પર ધ્યાન આપીને કાર્યકરોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વ્યક્તિગત બાબતોને બાજુ પર મૂકીને વિચારવામાં આવશે તો જ ભાજપને લોકસભાની ચૂંટણીમાં ધાર્યું પરિણામ મેળવવામાં મદદ મળી શકેશે.

ભાજપનો કકળાટ કોંગ્રેસ માટે મતોની ખાણ?
જો આપ એમ માની રહ્યા હોવ કે ભાજપનો આ કકળાટ ચાલુ રહેશે તો કોંગ્રેસ ફાવી જશે અને મતોની ખાણ કોંગ્રેસ માટે ખૂલી જશે તો કદાચ તે અતિશયોક્તિ હશે. કારણ કે કોંગ્રેસે કરેલા કૌભાંડો અને જનતાને આપેલી તકલીફો જ કોંગ્રેસનો દાટ વાળી દેવા માટે પૂરતી છે. ભાજપની આ સ્થિતિનો ફાયદો કોંગ્રેસ નહીં પણ અન્ય પક્ષોને થઇ શકે છે. આવી સ્થિતિમાં છેવટે નુકસાન તો ભાજપને જ થશે.












Click it and Unblock the Notifications
