ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, તે કેટલી ભયાનક હશે?
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, તે કેટલી ભયાનક હશે?
વિશ્વમાં અને ભારતમાં કોરોના વાઇરસની તીવ્રતા સમયાંતરે બદલાતી રહી છે, જેને સરળ શબ્દોમાં પ્રથમ બીજી કે ત્રીજી લહેર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દૈનિક કેસોની સંખ્યામાં અચાનક મોટો અને સતત ઉછાળો નોંધાય છે.
દૈનિક કેસો જેને સંક્રમણદર સાથે સીધો સંબંધ છે તે અને મૃત્યુદર બંનેની એક નિશ્ચિત સમયગાળા દરમિયાન વધેલી તીવ્રતા દેશની આરોગ્યવ્યવસ્થા પર અત્યંત દબાણ લાવી દે છે.
ભારતમાં એપ્રિલ-2021થી મે-2021 દરમિયાન કોરોનાની બીજી લહેરે જે વિનાશ વેર્યોં તેનો સાક્ષી સમગ્ર દેશ છે.
વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ ખુદ દેશવાસીઓને બીજી લહેર મામલે સચેત રહેવા ચેતવ્યા હતા. એટલે સમજી શકાય કે કોરોના વાઇરસની લહેર એ કેટલી ગંભીર વિષય છે.
જોકે સેકન્ડ વેવ (બીજી લહેર) પ્રવર્તમાન છે એવા સમયે હવે ત્રીજી લહેરની શક્યતાઓ વિશે ચર્ચા છેડાઈ છે. વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સજ્જ કરવા પગલા લેવાનું શરૂ કરી દીધું છે અને તેમનું કહેવું છે કે જો ત્રીજી લહેર આવશે તો તેઓ તેના માટે પૂરતા તૈયાર રહેશે. જનતાને પણ સવાલ થઈ રહ્યો છે કે ત્રીજી લહેર આવશે કે નહીં? અને આવશે તો ક્યારે આવશે?
જોકે, અહીં એક સવાલ એ છે કે શું સરકારો કોરોનાની બીજી લહેર માટે કેટલી તૈયાર હતી? જો તૈયાર હતી તો પછી બીજી લહેરમાં આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાઈ?
પરંતુ અત્રે એ પણ જાણવું જરૂરી છે કે શું ગુજરાતમાં ત્રીજી લહેર આવશે? અને આવશે તો તે કયા સમયે આવવાની શક્યતા કે આગાહી છે? તે કેટલી ભયાનક હશે?
- ઈરાનના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બનનાર ઇબ્રાહીમ રઈસી કોણ છે?
- કોરોનાની ત્રીજી લહેર બાબતે કેન્દ્ર સરકારે શું ચેતવણી આપી?
મહામારી, મૉડલ અને મહેતલ
https://www.youtube.com/watch?v=mh0cQ17_FgU
નિષ્ણાતો અનુસાર મૅથેમૅટિકલ મૉડલ અનુસાર અમેરિકામાં બે લહેર વચ્ચેનો સમયગાળો 14-16 સપ્તાહનો હતો. પણ યુકેમાં તે આઠ સપ્તાહથી ઓછો હતો. મૅથેમૅટિકલ મૉડલ અનુસાર મહારાષ્ટ્રમાં બે લહેર વચ્ચેનો ગૅપ 100-120 દિવસનો રહેવાનું અનુમાન છે.
જોકે પલ્બિક હેલ્થના ઍક્સપર્ટ્સનું માનવું છે કે આ મૅથેમૅટિકલ મૉડલનું અનુમાન છે. આથી શક્યતા છે કે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર તેનાથી તદ્દન અલગ રીતે પરિણામી શકે છે.
દરમિયાન મહારાષ્ટ્ર સરકાર સમક્ષ તેની ટાસ્ક ફૉર્સે કોરોનાની ત્રીજી લહેર અપેક્ષા કરતા વહેલી આવવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે તેના સભ્ય ડૉ. રાહુલ પંડિતે ત્રીજી લહેર બેથી ચાર સપ્તાહમાં જ આવી જશે એવી આગાહી કરાઈ હોવાનો ઇન્કાર કર્યો હતો.
ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતની રાજ્ય સરકારોએ ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકારની તૈયારીઓ વિશે માહિતી આપી હતી.
અત્રે એ વાત જાણવી જરૂરી છે કે શું ગુજરાતમાં પણ ત્રીજી લહેર મામલે કોઈ આગાહી કરવામાં આવી છે? આ મામલે બીબીસીએ ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પલ્બિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર સાથે વાત કરી. તેઓ ગુજરાત સરકારે કોવિડ મેનેજમેન્ટ મામલે રચેલી ટાસ્ક ફૉર્સમાં પણ સામેલ છે.
- મિલ્ખા સિંહને જ્યારે પાકિસ્તાને આપ્યો હતો 'ફ્લાઇંગ શીખ'નો ખિતાબ
- ખેડૂતે ઉગાડી એવી કેરી જે સાડા ત્રણ લાખની એક કિલો વેચાય છે
ગુજરાતમાં ત્રીજી લહેર
ડૉ. દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં ત્રીજી લહેર મામલે સ્ટેટેસ્ટિકલ ઍનલસિસ આધારિત પ્રોજેક્શન થયું હોય એવું મારી જાણમાં નથી. પરંતુ ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી લહેર કરતાં બેગણા કેસો આવે તો પણ વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે તૈયારીઓ કરવાનું લક્ષ્ય છે."
તેમણે ઉમેર્યું, "જુલાઈના અંત સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાનું આયોજન છે, જેમાં ઑક્સિજન પ્લાન્ટ, આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ), વૅન્ટિલેટર સહિતની મહત્ત્વની બાબતો સામેલ છે. ઉપરાંત બાળકો માટેના આઈસીયુ મામલે પણ કામગીરી હાથ ધરાઈ છે."
"સરકાર જરૂર પડ્યે ટાસ્ક ફૉર્સ સાથે મંત્રણા કરે છે અને સૂચનો મંગાવે છે. જોકે અમે સ્વતંત્રપણે અથવા સરકાર સાથે મળીને ત્રીજી લહેરના સંભવિત સમયગાળા વિશે કોઈ આગાહી કે અનુમાન નથી કાઢ્યું, પણ તૈયારીઓ પર વધુ ભાર મૂક્યો છે."
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેર માટે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાનો વિષય ગણવામાં આવી રહ્યો છે.
બીજી તરફ દેશમાં અને રાજ્યમાં કોરોનાના નવા નોંધાઈ રહેલા દૈનિક કેસોનો આંકડો ઘટ્યો છે. તેથી લૉકડાઉન મામલે કેટલીક છૂટછાટ અપાઈ રહી છે. આ સાથે આરોગ્યનિષ્ણાતો સતત ચેતવી રહ્યા છે કે જો જનતા કોવિડની ગાઇડલાઇનનું યોગ્ય પાલન નહીં કરે, તો સ્થિતિ મુશ્કેલ બની જશે.
- ભારતમાં લૉન્ચ થયેલી કોરોનાની નવી દવા 'એન્ટિબૉડી કોકટેલ’ શું છે? તે કોને મળશે?
- કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક V, કોરોનાની કઈ રસી કેટલી અસરકારક?
મ્યુટેશન, મહામારી અને તૈયારી
આ મામલે ગુજરાત મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. દેવેન્દ્ર પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઇંગ્લૅન્ડમાં જે પરિસ્થિતિ સર્જાઈ એ જોતા લાગે છે કે ભારતમાં પણ ત્રીજી લહેરની શક્યતા છે. તેનો સમયગાળો શું રહેશે તે કહેવું મુશ્કેલ છે."
તેમણે વધુમાં કહ્યું, "વાઇરસનું મ્યુટેશન કેવું અને કેટલું થાય છે એ પણ મહત્ત્વનું પરિબળ છે. કેમ કે જો વધુ ઘાતક મ્યુટેશન જોવા મળે તો ત્રીજી લહેરની તીવ્રતા વધી શકે છે, કેમ કે આ નવો વાઇરસ છે."
"ભૂતકાળમાં જ્યારે હિપેટાઇટિસ, સ્વાઇન ફ્લૂ સહિતના વાઇરસ ત્રાટક્યા હતા ત્યારે શરૂઆતમાં તીવ્રતા હતી પણ પછી તીવ્રતા ઘટી હતી. જો કે કોરોના વાઇરસમાં સ્થિતિ અલગ જોવા મળી રહી છે. શહેરોની સાથે સાથે ગામડાંમાં પણ સંક્રમણ ફેલાયું છે. હાલ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ જો સાવચેતી નહીં રાખવામાં આવે, તો સંક્રમણ વધશે એમાં કોઈ શંકા નથી."
"વળી ગુજરાતમાં ત્રીજી લહેરની વાત કરીએ તો હજુ એવી કોઈ આગાહી કે અનુમાન નથી કરાયું. પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ એ વાત દર્શાવે છે કે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું એ જ વિકલ્પ છે."
દરમિયાન ગુજરાતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીએ તો જાણવા મળે છે કે વર્ષ 2020માં જુલાઈ પછી કેસો ઘટવાનું શરૂ થયું હતું અને દિવાળી સુધી સ્થિતિ નિયંત્રણમાં હતી.
પરંતુ નવેમ્બર પછી ધીમે ધીમે સ્થિતિ પડકારજનક થવા લાગી હતી. ત્યાર બાદ જાન્યુઆરી-2021માં રસીકરણ પણ શરૂ કરી દેવાયું હતું.
તેમ છતાં એપ્રિલ-2021થી મે-2021 દરમિયાન રાજ્યમાં જે પરિસ્થિતિ સર્જાઈ તે બીજી લહેર કેટલી તીવ્ર રહી તેનો પુરાવો છે.
https://www.youtube.com/watch?v=zEPnQCATPJA
આ સમગ્ર મામલે સુરત મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. હિરલ શાહે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રીજી લહેર માટે કોઈ આગાહી નથી કરવામાં આવી.
તેમણે આ અંગે કહ્યું, "સુરત શહેર કે જિલ્લા મામલે કોઈ સ્ટેટેસ્ટિકલ ઍનલસિસ નથી કર્યું પરંતુ લોકો જો કોરોનાની ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો પીક આવી શકે છે. અમે સુરત મહાનગરપાલિકા કમિશનર તથા કલેક્ટર સાથે સમયે સમયે મંત્રણા કરી અમારાથી શક્ય હોય તેટલી સલાહ અને અવલોકનો પૂરા પાડતા હોઈએ છીએ. સંપૂર્ણ સહયોગ સાથે પહેલી અને બીજી લહેરમાં કાર્ય કરવામાં આવ્યું હતું."
તેમને પૂછવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર મામલે જે આગાહી કરાઈ છે, તેનાથી ગુજરાતમાં કોઈ અસર જોવા મળી શકે છે? અથવા ગુજરાત તેનું પાડોશી રાજ્ય છે, તો આ બાબતને કઈ રીતે જોવી?
આ વિશે ડૉ. હિરલ શાહ જણાવે છે કે,"જે તે સમયે ઊભી થતી જરૂરિયાત મુજબ જ પગલાં લેવા પડશે અને એવું તો શક્ય નથી થવાનું કે બંને રાજ્યમાંથી સદંતર અવર-જવર બંધ થઈ શકે. કોઈ પણ રાજ્યમાંથી શરૂઆત થાય, પણ વાઇરસ જો તીવ્રતાથી ફેલાય તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી જ શકે છે."
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ત્રીજી લહેરના સમયગાળા મામલે કોઈ આગાહી નથી કરેલ પરંતુ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ જાહેરમાં કહી ચૂક્યા છે કે ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ માટે અધિકારીઓની એક નવી ટાસ્ક ફૉર્સ પણ રચી દેવામાં આવી છે.
- કોરોના બાદ પોતાનાં ફેફસાં અને હૃદયનું આવી રીતે રાખો ધ્યાન
- કોરોનાની રસી લીધા પછી શું તકેદારી રાખવી અને માસ્ક ક્યાં સુધી પહેરી રાખવું પડશે?
કોરોના વાઇરસની લહેર એટલે શું?
પેન્ડેમિક એટલે કે મહામારી મામલે તેની વેવ (લહેર) વિશે કોઈ ચોક્કસ પાઠ્યપુસ્તક આધારિત વ્યાખ્યા નથી, પરંતુ એક લાંબા સમયગાળા દરમિયાન દૈનિક કેસોમાં વધારો અને ઘટાડો વર્ણવવા માટે સામાન્ય રીતે લહેર એટલે કે 'વૅવ' શબ્દ વપરાય છે. વધતો જતો ગ્રાફ એક રીતે લહેર કે તરંગ જેવો આકાર સર્જે છે. શરૂઆતમાં તે ઓછો હોય બાદમાં વધે અને ધીમે-ધીમે તેની તીવ્રતા ઘટે.
આવી જ રીતે રોગની સીઝનને વર્ણવવા માટે વૅવ શબ્દ વપરાતો હતો. કેમ કે કેટલાક વાઇરલ ઇન્ફેક્શન સીઝન આધારિત હોય છે. જે નિશ્ચિત સમયગાળાના અંતરાલ પછી ફરી થતા હોય છે. જેમાં સંક્રમણ વધે છે અને પછી ઘટે છે. પછી ફરી કેટલોક સમય બાદ તે વધે છે અને ઘટે છે.
જ્યા સુધી કોરોના વાઇરસની વાત છે તો ભારતમાં બે વખત તેની લહેર સર્જાઈ છે. વચ્ચે લાંબો અંતરાલ રહ્યો છે. જોકે રાજ્યો માટે તેનો વૅવ અલગ હોઈ શકે છે. જેમ કે નિષ્ણાતો અનુસાર દિલ્હીમાં અત્યાર સુધીમાં ચાર લહેર સર્જાઈ છે, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક મોટી પીક જોવા મળે છે.
- ઓક્સિજનના અભાવે 'ભારતની જેમ' જ્યારે બીજા દેશોમાં પણ કોરોના દરદીઓ ટપોટપ મરવા લાગ્યા
- 'મારી નાનકડી દીકરીઓને હજી ખબર નથી કે તેમની મમ્મી કોવિડને લીધે મૃત્યુ પામી છે'
ત્રીજી લહેર આવી તે ખબર કઈ રીતે પડે?
https://www.youtube.com/watch?v=nnrjW6jflOE
હાલ દેશમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજી લહેરની શક્યતાની ચર્ચા ચાલી રહી છે. જોકે હાલ દેશમાં કૂલ દૈનિક કેસોના આંકડા ઘટી રહ્યા છે, એટલે ગ્રાફ નીચો આવી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં દૈનિક કેસોનો આંકડો પીક હતી ત્યારના 4.14 લાખથી ઘટીને 2.6 લાખ થઈ ગયો છે. વળી સક્રિય (ઍક્ટિવ કેસ) 37.45 લાખથી ઘટીને 32.25 લાખને સ્પર્શ્યા છે. જો આવો જ ટ્રૅન્ડ ચાલુ રહેશે તો જુલાઈના અંત સુધી ફેબ્રુઆરીમાં જેવી સ્થિતિ હતી તેવી સ્થિતિ આવી જશે.
આથી આ સમય પછી જો ફરી સતત સપ્તાહો સુધી નવા કેસો વધતા રહે તો ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે એવું કહી શકાશે.
- કોરોના વાઇરસનાં ત્રણ મુખ્ય લક્ષણ શું છે? કેવી રીતે બચવું?
- ગુજરાત : બે મહિનામાં બે વખત અપહરણ થયું, હવે પોલીસ આ બાળકને સાચવે છે
- CoWIN ઍપ : કોરોનાની રસી માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વૅક્સિનનો બીજો ડોઝ સમયસર ન મળે તો કોઈ આડઅસર થાય?
- કોરોનામાંથી સાજા થયા પછી શું વૅક્સિનનો માત્ર એક ડોઝ લેવો પૂરતો રહેશે?
- પિરિયડ્સ દરમિયાન કોરોનાની રસી લેવી સુરક્ષિત છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો