MIG-21 Retirement : કોણ છે MiG-21ની આખરી ઉડાન ભરવા જઈ રહેલી સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા?
MIG-21 Retirement : ભારતીય વાયુસેના (IAF) છ દાયકાથી વધુ સમય સુધી આકાશમાં ગર્જના કરનાર તેના સુપ્રસિદ્ધ મિગ-૨૧ (MiG-21) ફાઈટર એરક્રાફ્ટને નિવૃત્ત કરીને એક ગૌરવશાળી અધ્યાયનું સમાપન કરવા જઈ રહી છે.
આ ઐતિહાસિક વિદાય સમારોહ ૨૬ સપ્ટેમ્બરના રોજ ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાવાનો છે. આ એ જ સ્થળ છે જ્યાં આ શક્તિશાળી વિમાનને ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં સૌપ્રથમવાર સામેલ કરવામાં આવ્યું હતું.

મિગ-૨૧ની નિવૃત્તિ નિમિત્તે યોજાનાર ભવ્ય ફ્લાયપાસ્ટમાં ભાગ લેનારા પાયલોટ્સમાં સ્કવોડ્રન લીડર પ્રિયા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હશે. તેમણે બુધવારે યોજાયેલા ફૂલ ડ્રેસ રિહર્સલમાં પણ ઉડાન ભરી હતી.
નંબર ૨૩ સ્કવોડ્રનના છ મિગ-૨૧ વિમાનો આ વિદાય સમારોહમાં ભાગ લેશે. લેન્ડિંગ પછી આ વિમાનોને વોટર કેનન સલૂટ આપવામાં આવશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવામાં પ્રિયા શર્માની ભૂમિકા મહત્ત્વની રહેશે.
કોણ છે સ્કવોડ્રન લીડર પ્રિયા શર્મા?
પ્રિયા શર્મા ભારતીય વાયુસેનાની સાતમી મહિલા ફાઈટર પાયલોટ છે. તેણીએ ૨૦૧૮માં ડુંડિગલ ખાતેની એરફોર્સ એકેડમીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવત દ્વારા તેમને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.
પ્રિયા શર્મા રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના વતની છે અને તેમના પિતાના પગલે ચાલીને વાયુસેનામાં જોડાઈ છે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતી પ્રિયા શર્મા તેમની બેચમાં એકમાત્ર મહિલા ફાઈટર પાયલોટ હતા.
તેણીને નાનપણમાં બિદર ખાતે પિતાની પોસ્ટિંગ દરમિયાન જગુઆર અને હોક વિમાનોને ઉડતા જોઈને પાયલોટ બનવાની પ્રેરણા મળી હતી. શરૂઆતમાં તેણીએ હકીમપેટ એરફોર્સ સ્ટેશન પર સેવા આપી હતી અને પછી એડવાન્સ ફાઈટર ટ્રેનિંગ માટે બિદર એરફોર્સ સ્ટેશન કર્ણાટક ખાતે ટ્રાન્સફર થયુ.
આ વર્ષે ઓગસ્ટમાં પણ તેણીએ બિકાનેરના નલ એરફોર્સ સ્ટેશન ખાતે IAF ચીફની મિગ-૨૧ વિદાય સોલ્ટીઝ (ટ્રાયલ) દરમિયાન રચનામાં ઉડાન ભરી હતી.
ભારતીય વાયુસેનાના આ આઇકોનિક ફાઈટર જેટના અંતિમ અધ્યાયમાં પ્રિયા શર્માની ભાગીદારી યુવાનો અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.












Click it and Unblock the Notifications
