રાજકીય રીતે હારેલા લોકોનું આશ્રયસ્થાન બની રહી છે કોંગ્રેસ
100 વર્ષ જૂનો પક્ષ કોંગ્રેસ હાલના સમયમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. નેતૃત્વની અછત સામે લડી રહેલા પક્ષને રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોઈ નેતા નથી મળી રહ્યા, જે પક્ષની જવાબદારી સંભાળી શકે.
100 વર્ષ જૂનો પક્ષ કોંગ્રેસ હાલના સમયમાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. નેતૃત્વની અછત સામે લડી રહેલા પક્ષને રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોઈ નેતા નથી મળી રહ્યા, જે પક્ષની જવાબદારી સંભાળી શકે. વચગાળાના અધ્યક્ષ બનેલા સોનિયા ગાંધીની ઉંમર અને સ્વાસ્થ્ય એવું નથી જેવું કોંગ્રેસ અને યુપીએ ગઠબંધનના 2014થી 2014ના ગાળા સુધી હતું. 2014 પહેલા એક દાયકા સુધી પક્ષની કમાન સંભાળનાર સોનિયા ગાંધી હવે 72 વર્ષના થઈ ચૂક્યા છે, અને તેમનું આરોગ્ય પહેલા જેવું નથી રહ્યું.
રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યા બાદ હવે કોંગ્રેસમાં કોઈ એવો નેતા નથી, જે પાર્ટીને હાથમાં લઈ ચલાવી શકે. એટલે જ કોંગ્રેસે રાહુલ ગાંધીના રાજીનામા બાદ સીધા અધ્યક્ષ પસંદ કરવાના બદલે વચગાળાના અધ્યક્ષ પસંદ કરવા પડ્યા. કારણ કે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થનારી ચૂંટણીને લઈ પક્ષ કોઈ જોખમ લેવા નથી ઈચ્છતો.
ગાંધી પરિવારના હાથમાં કમાન
કોંગ્રેસ કોઈ એવા ચહેરાને અધ્યક્ષ બનાવવા નથી ઈચ્છતી જેના કારણે પાર્ટી તૂટી શકે. પરિણામે સોનિયા ગાંધીના નેતૃત્ત્વમાં ત્રણેય રાજ્યની ચૂંટણી લડવાનો નિર્ણય કરાયો છે. એનો સીધો ફાયદો એ છે કે ગાંધી પરિવારના હાથમાં કમાન હોવાથી પાર્ટી તૂટવાની શક્યતા શૂન્ય થઈ જશે અને જો કોંગ્રેસને કોઈ એક રાજ્યમાં આંશિક સફળતા પણ મળી તો કાર્યકર્તાઓને સાચવવામાં મદદ મળશે, સાથ જ નવા અધ્યક્ષ પસંદ કરવામાં સહેલાઈ થશે.
યુવા ચહેરા
કોંગ્રેસમાં સફળ યુવા ચહેરાની કમી નથી, પરંતુ કોંગ્રેસ કોઈ બહારના વ્યક્તિને કમાન સોંપવાના જોખમને જાણે છે. તેમાં રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાઈલટ, મહારાષ્ટ્રના યુવા નેતા મિલિંદ દેવરા, એમપી કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના યુવા નેતા જીતિન પ્રસાદ જેવા નેતાઓના નામ સામેલ છે. પરંતુ લાગે છે કે કોંગ્રેસ યુવા ચહેરાને અધ્યક્ષ બનાવવા નથી ઈચ્છતી. જ્યારથી રાહુલ ગાંધીનો વિકલ્પ શોધવાનો શરૂ થયો ત્યારથી એક ચહેરો સૌથી આગળ હતો, આ ચહેરો છે 90 વર્ષના વયોવૃદ્ધ નેતા મોતીલાલ વોરાનો. એના પરથી ક્યાસ લગાવી શકાય કે કોંગ્રેસ શું ઈચ્છે છે.
સક્ષમ અને યુવા નેતાની કમી
100 વર્ષની કોંગ્રેસની જવાબદારી 90 વર્ષના મોતીલાલ વોરાને સોંપવાની વાત શરૂ થઈ ત્યારથી મોટો સવાલ એ હતો કે શું કોંગ્રેસ પાસે સક્ષમ અને યુવા નેતાની કમી છે કે વૃદ્ધોને જવાબદારી સોંપાઈ રહી છે. જો કે કાબેલિયત પર ગાંધી પરિવાર ભારે પડ્યો અને મોતીલાલ વોરાને અધ્યક્ષ ન બનાવાયા.
સોનિયા ગાંધીને જવાબદારી
પાર્ટીએ યુવા અનુભવને સાઈડમાં રાખઈને સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનાવી એક તીરે બે નિશાન સાદવાની કોશિશ કરી છે. એક તો સોનિયા ગાંધીને જવાબદારી સોંપાતા પાર્ટી તૂટવાનો ખતરો ટળ્યો છે. બીજી તરફ જો ત્રણેય વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ જીતે કે એક રાજ્યમં પણ જીતે તો પક્ષમાં નવી તાકાત સામે આવશે. અને ભવિષ્યમાં ગાંધી પરિવાર વિરુદ્ધ જવાની શક્યતાઓ પૂરી થઈ જશે.
કોંગ્રેસમાં સતત થઈ રહી છે હારેલા લોકોની એન્ટ્રી
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં પક્ષને સતત બે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક હાર મળી છે. એટલે રાહુલ ગાંધીની રાજકીય પરિપક્વતા સામે સવાલો ઉઠવા વ્યાજબી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસને એવા હારેલા ચહેરાઓનું ઘર બનાવી દીધું, જેનું રાજકીય કરિયર પુરુ થવામાં હતું. જેમાં બે સૌથી મોટા નામ છે શત્રુઘ્ન સિંહા અને ક્રિકેટરમાંથી નેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુ. બંને નેતાઓથી કોંગ્રેસને તો કોઈ ફાયદો ન થયો, ઉપરથી બંનેના ફાલતુ નિવદેનોને કારણે કોંગ્રેસે પાછળી ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું. તાજેતરમાં જ કોંગ્રેસમાં સામેલ થયેલી આમ આદમી પાર્ટીની પૂર્વ નેતા અલકા લાંબા પણ આ લિસ્ટમાં હોઈ શકે છે. આ પહેલા આ સિરીઝમાં ભાજપના સાંસદ ઉદિત રાજનું નામ પણ મૂકી શકાય, તેઓ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી હારી ચૂક્યા છે.
મોટા ચહેરાઓને નથી મળતું સન્માન
કોંગ્રેસ પક્ષ સફેદ હાથી જેવો થઈ ચૂક્યો છે, જ્યાં સત્તાનું વિકેન્દ્રીકરણ ન થવાથી કેટલાક ગણતરીના નેતાઓનું મહત્વ વધુ પડતું છે. ગાંધી પરિવારની નજીકના હોવાને કારણે આ નેતાઓ સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં જોડાયેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે માત્ર 5 મહિનામાં પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીમાં કેટલાક ગણતરીના લોકોને અગ્રતા અપાય છે અને તેમને જવાબદારી સોંપાય છે, જેમનું રિઝલ્ટ ઝીરો હોય છે.
અમેઠીના રાજકીય પરિવારના સંજય સિંહે પત્ની સહિત છોડ્યો પક્ષ
કોંગ્રેસ પાર્ટી એક તરફ થાકેલા હારેલા લોકોને સામેલ કરી રહી છે, બીજી તરફ કોંગ્રેસની સામે ભાજપ એવા નેતાઓને મહત્વ આપી રહ્યું છે, જેઓ દર ચૂંટણીમાં પક્ષને આગળ વધારી રહ્યા હોય. આમાં સૌથી મોટું નામ અમેઠીના રાજકીય પરિવારના સંજયસિંહ અને તેમના પત્ની અમિતા સિંહનું છે, જેમણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેર્યો છે. અમેટીની પરંપરાગત બેઠક હાર્યા બાદ કોંગ્રેસ માટે આ મોટો ઝટકો છો, કારણ કે સંજયસિંહ કોંગ્રેસના કદાવર નેતા મનાય છે. ભાજપે મહારાષ્ટ્રમાં એનસીપીના મોટા નેતાઓને તોડીને કોંગ્રેસને મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા જ માત આપી છે. ભાજપે હરિયાણાની જાણીતી ડાન્સર સપના ચૌધરીને ભલે પક્ષમાં સામેલ કરી છે જે હરિયાણા વિધાનસભામાં તે ભાજપ માટે ક્રાઉડ પુલિંગ જરૂર કરશે. કોંગ્રેસ વાતો કરતી રહી ગઈ અને ભાજપે તેને પક્ષમાં સામેલ કર લીધી.
કોંગ્રેસના નેતાઓને ડરાવે છે પક્ષના નેતાઓ
હરિયાણાના પૂર્વ સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ તાજેતરમાં જ રોહતકની એક મહારેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને પોતાની વાત માનવા મજબૂર કરી દીધું. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ પક્ષમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ જગ જાહેર છે. રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તો મધ્યપ્રદેશમાં સીએમ કમલનાથ અને પૂર્વ સીએમ દિગ્વજિયસિંહની ગોઠવણમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય કરિયર દાવ પર છે. કેટલીકવાર એવા પણ અહેવાલ હતા કે સિંધિયા ભાજપ જોઈન કરી શકે છે. કદાચ એટલે જ સીએમ કમલનાથને દિલ્હી બોલાવાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતના 22 જિલ્લામાં આ વર્ષે 100% થી વધુ વરસાદ, નર્મદા ડેમ 91% ભરાયો