મોદીને જન્મ દિવસે મળી શકે છે પીએમ ઉમેદવારીનો ઉપહાર!
અમદાવાદ, 31 ઑગસ્ટ : ભાજપની ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આ વખતનો જન્મ દિવસ મોટો ઉપહાર લાવનાર સાબિત થઈ શકે છે. હવે આ મોટો ઉપહાર શું છે, તે તો સૌ જાણે જ છે. ભાજપે મોદીને ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ તો બનાવી જ દીધા છે અને પક્ષ તથા મોદીના વિરોધીઓ પણ જાણે જ છે કે મોદીને અહીં સુધી સીમિત રાખવા માટે આ હોદ્દો નથી અપાયો. તેમનો આગામી પડાવ વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો છે.
આવતીકાલે સપ્ટેમ્બર માસ શરૂ થઈ રહ્યું છે અને આ માસ વિઘ્નહર્તા ગણપતિ માટે જેટલું મહત્વનું છે, એટલું જ કદાચ નરેન્દ્ર મોદી માટે પણ છે. સૌ જાણે છે કે 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવે છે. ગત વર્ષના જન્મ દિવસે મોદી સામે લક્ષ્ય ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 જીતવાનું હતું અને આ વખતે તેમનું લક્ષ્ય શું છે, તે કહેવાની જરૂર નથી. આ વખતે તેમનું લક્ષ્ય વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનું છે અને કદાચ આવતા વર્ષે તેઓ વડાપ્રધાન તરીકે પણ જન્મ દિવસ ઉજવી શકે.
જોકે ભાજપની અંદર નરેન્દ્ર મોદીને પીએમ કૅંડિડેટ જાહેર કરવા અંગે ભારે દબાણ અને ખેંચતાણ ચાલી રહ્યાં છે. એક બાજુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ મુદ્દે પોતાની લીલી ઝંડી આપી ચુક્યું છે અને તે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપ ઉપર ભારે દબાણ લાવી રહ્યું છે, તો બીજી બાજુ પક્ષની અંદર જ કેટલાંક માથાઓ મોદી માટે આડખીલી બની રહ્યાં છે.
આમ છતાં નરેન્દ્ર મોદી માટે આ વખતે ઉજવાનારો તેમને 63મો જન્મ દિવસ કંઇક ખાસ જ હશે, કારણ કે તેમના જન્મ દિવસ અગાઉ એટલે કે 8-9મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ભાજપ, સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદની સંકનલ સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી નામ અંગે ચર્ચાનો વિષય પણ હશે. કહેવાય છે કે ભાજપ ઉપર મોદીના નામની જાહેરાત કરવાનું ભારે દબાણ છે. એક તરફ સંઘ છે, તો બીજી તરફ કાર્યકરો પણ ઇચ્છે છે કે મોદીને વહેલામાં વહેલી તકે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે. સંઘ આ બાબતે મોડું કરવા નથ માંગતું. એક વરિષ્ઠ નેતાએ તો અહીં સુધી કહી નાંખ્યું કે એક-બે નેતાઓની નારાજગીના કારણે ફેંસલો ટાળવામાં નહીં આવે.
મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતી વખતે કાળ-ચોઘડિયા-તિથિનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભાજપના પ્રયત્ન છે કે જાહેરાત શુભ મુહૂર્તમાં કરવામાં આવે. 20મી સપ્ટેમ્બરથી એક પખવાડિયા માટે પિતૃ પક્ષ શરૂ થઈ જશે. તેથી પિતૃ પક્ષ શરૂ થતા પહેલા જાહેરાત થવાની પાકી આશા છે. 9મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે અને 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેથી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરતી વખતે આ બે તારીખોનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવશે.
ઉપરાંત નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં 100 કરતાં વધુ રેલીઓ દેશભરમાં કરવાના છે અને તેઓ પણ ઇચ્છશે જ કે તેઓ માત્ર ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ તરીકે નહીં, પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આ રેલીઓ સંબોધશે, તો તેમને અને પક્ષને વધુ ફાયદો થશે. તેથી આ તમામ બાબતો વચ્ચે કહી શકાય છે કે નરેન્દ્ર મોદીને આ જન્મ દિવસે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો ઉપહાર મળી શકે છે.