એરલાઈનના સેફ્ટી ઑડિટમાં હ્યુમન એરર જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે?
જેટ એરવેઝની ઘટના બાદ સુરેશ પ્રભુએ ઑડિટનો આદેશ આપ્યો.
ગુરુવારે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના થતાં-થતાં માંડ ટળી. 10 હજાર ફીટથી પણ વધુ ઉંચાઈ પર ફ્લાઈટ હતી અને અચાનક જ 30 જેટલા પ્રવાસીઓના કાન અને નાકમાંથી લોહી નીકળવાનું શરુ થઈ ગયું હતું. ઘટનાને પગલે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને મામલે એરલાઈન્સમાં કામ કરતા કર્મચારીઓ, ક્રૂ મેમ્બર્સ અને પાયલટ પર પણ સવાલ ઉઠ્યા છે. પ્રવાસીઓએ જેટ એરવેઝ પર પણ આરોપ લગાવતા કહ્યું કે અમને એરવેઝ તરફથી કોઈ જ મદદ કરવામાં ન આવી. આ મામલે ઉડ્ડયન મંત્રીએ ઑડિટ કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સવાલ એ ઉભો તાય છે કે શું મહત્વના તમામ આવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે?
મોટી દુર્ઘટના ટળી
ગુરુવારે સવારે 9W-697 નંબરની જેટ એરવેઝની ફ્લાઈટ ટેક ઑફના 30 મિનિટમાં જ ફરી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાં 166થી વધુ પ્રવાસીઓ સવાર હતા જેમાંથી 30 જેટલા પ્રવાસીઓને માથામાં દુઃખાવો થવા લાગ્યો હતો અને કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. પાયલટની બેદરકારીને પગલે આ ઘટના બની હતી. ફ્લાઈટ 10 હજારથી વધુ ઉંચાઈ પર પહોંચે એટલે 'બ્લિડ સ્વિચ' ઑન કરવાની હોય છે પરંતુ 9W-697 ફ્લાઈટનો પાયલટ આ સ્વિચ ઑન કરતાં ભૂલી ગયો હતો જેને પગલે કેબિનનું દબાણ વધી જતાં લોકોને સફોકેશન અને લોહી વહેવા જેવી પીડા થવા લાગી હતી.
ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ
બ્લિચ સ્વિચ ઑન કરવાથી કેબિન પ્રેસર સંતુલિત રહે છે, પરંતુ કેબિન પ્રેસર વધતાં ઑક્સિઝન માસ્ક આપોઆપ બહાર આવી ગયાં હતાં. ઘટનાને પગલે ફ્લાઈટને તુરંત મુંબઈ એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી. એરપોર્ટ પર અસરગ્રસ્ત પ્રવાસીઓની સારવાર માટે ડૉક્ટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી.
એરવેઝે કોઈ સહાય ન કરી
ફ્લાઈટમાં સવાર સખમિત્રા અશ્વિની નામના પ્રવાસીએ કહ્યું કે, "જેટ એરવેઝ તરફથી કોઈ સહાય કરવામાં નહોતી આવી. અમે ગુંગળાઈ રહ્યાં હતાં. અને શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે કોઈએ અનાઉસમેન્ટ પણ નહોતું કર્યું." અન્ય એક પ્રવાસીએ કહ્યું કે, "ફ્લાઈટમાં વૃદ્ધો પણ સવાર હતાં જેઓ શ્વાસ નહોતા લઈ શકતા અને તેમાંથી કેટલાકને નાકમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું હતું."
તપાસના આદેશ આપવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે પાંચ પ્રવાસીઓને ટ્રીટમેન્ટ માટે મુંબઈની નાનાવતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ ઘટનાને ધ્યાનમાં રાખી ઉડ્ડયન મંત્રાલયે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોને આ મામલે તપાસ હાથના નિર્દેશ આપ્યા છે.
જાણો એરલાઈને શું કહ્યું
મીડિયા સાથેની વાતચીતમાં જેટ એરવેઝે કહ્યું હતું કે, "મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટ 9W 697 કેબિન પ્રેસર ગુમાવી બેસતાં ફ્લાઈટને પરત મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી. B737 એરક્રાફ્ટમાં સવાર 166 પેસેન્જર અને 5 ક્રૂ મેમ્બર સહિત તમામ 169 પ્રવાસીઓને સુરક્ષિત રીતે ટર્મિનલ સુધી પહોંચાડી દેવામાં આવ્યાં છે." બાદમાં એરલાઈને 144 પ્રવાસીઓ માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરી આપી હતી.
સવાલ એ છે કે સેફ્ટી ઑડિટમાં આ મુદ્દા ધ્યાનમાં લેવાશે?
દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ તાત્કાલિક ધોરણે MROs, ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલ, એરોડ્રોમ્સ અને સુનિશ્ચિત ફ્લાઈટનું સેફ્ટી ઑડિટ કરવાના DGCAને આદેશ આપ્યો છે. DGCAને 30 દિવસમાં રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે હકિકતમાં પ્રથમ દ્રષ્ટિએ આ રિપોર્ટમાં, હ્યુમન એરર, તમામ બોઈંગ 737 એરક્રાફ્ટ ચેકલિસ્ટ કરેલ છે જેને પાયલટે ફોલો કરવાના રહેશે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ટેક ઑફ બાદ એન્જિન બ્લિડ્સ ઑન કરવાં, વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે?
પાયલટે કરી આ ભૂલ
સૂત્રોએ જણાવ્યા મુજબ આ કેસમાં પાયલટે ટેક ઑફ પહેલા એન્જિન બ્લિડ ઑન નહોતી કરી, તેઓ એન્જિનની મહત્તમ એરનો ઉપયોગ કરવા માગતા હતા. ટેક ઑફની તુરંત બાદ બ્લિડ એર સ્વિચ ઑન કરવાની રહે છે પરંતુ આ કેસમાં 9W-697ના ક્રૂ મેમ્બર્સ સ્વિચ ઑન કરતાં ભૂલી ગયા હતા જેને પગલે આવો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ પણ વાંચો-જમ્મુ કાશ્મીર શોપિયાંમાં અપહરણ કરેલા ત્રણ પોલીસકર્મીઓની હત્યા