ભારત આવ્યા વિંગ કમાન્ડર અભિનંદન, વાઘા બોર્ડર પર લાગ્યા 'ભારત માતા કી જય'ના નારા
ભારત આવ્યા વિંગ કમાન્ડર અભિનંદન, બોર્ડર પર લાગ્યા નારા
નવી દિલ્હીઃ પાકિસ્તાની લડાકૂ વિમાનને ધૂળ ચટાવનાર ભારતીય વાયુસેનાના બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાનની પકડમાંથી છૂટીને ભારત આવી ગયા છે. અટારી વાઘા બોર્ડર પર પાકિસ્તાનના રેન્જર્સે અભિનંદનને બીએસએફને સોંપી દીધા છે અને બીએસએફે તેમને ભારતીય વાયુ સેનાના અધિકારીઓને સોંપી દીધા. વાઘા બોર્ડર પર મેડિકલ ચેકઅપ અને સુરક્ષા સાથે જોડાયેલ અન્ય જરૂરી કાર્યવાહી પૂરી કર્યા બાદ ભારતીય વાયુસેનાના અધિકારી અભિનંદનને લઈને દિલ્હી ચાલ્યા ગયા. અભિનંદનની રિહાઈ દરમિયાન વાઘા બોર્ડર પર 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા ગુંજી ઉઠ્યા. અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડરે એકઠા થયા હતા.
અગાઉ ભારતીય વાયુસેનાની બે ટીમ અભિનંદનને લઈ વાઘા બોર્ડર પહોંચી. જો કે ભારત ઈચ્છતું હતું કે પાકિસ્તાનની પકડમાં રહેલ પાયલટને વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા ઈસ્લામાબાદથી ભારત લાવવામાં આવે, પરંતુ પાકિસ્તાને ભારતની આ માંગને ફગાવી દીધી. વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈની ઘોષણા કાલે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કરી હતી. ઈમરાન ખાને સંસદના સંયુક્ત સત્રમાં કહ્યું હતું કે શાંતિની પહેલ તરીકે તેઓ ભારતીય પાયલટને કાલે છોડી મૂકશે. પાકિસ્તાનના આ પગલાને ભારતની મોટી કૂટનૈતિક જીત તરીકે જોવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે બુધવારે પાકિસ્તાનના ફાઈટર જેટ્સનો પીછો કરતી વખતે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું જેટ મિગ-21 ક્રેશ થઈ ગયું અને પાકિસ્તાનની સીમામાં જઈને તેઓ પડ્યા. પાક સેનાએ તેમને પકડી લીધા, પરંતુ સેના પકડે તે પહેલા અભિનંદન વર્ધમાને તમામ મહત્વના દસ્તાવેજો ગળી ગયા અને બાકીનાં દસ્તાવેજો તળાવમાં ફેંકી દીધાં હતાં. સ્થાનિક લોકોથી ઘેરાયેલા અભિનંદન 15 મિનિટ સુધી હવામાં ફાયરિંગ કરતા રહ્યા. પાકિસ્તાની સેનાએ જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે પણ તેમણે બહાદુરીનો પરિચય આપ્યો અને કોઈપણ જાણકારી પાકિસ્તાની સેનાને આપવાનો ઈનકાર કરી દીધો. અભિનંદનની વાપસીને લઈ આખો દેશ દુઆ કરી રહ્યો હતો અને આખરે તેમની ઘર વાપસી શક્ય બની શકી.
આ પણ વાંચો- અભિનંદનની મુક્તિ પહેલા પાકિસ્તાને ઠુકરાવી ભારતની આ મોટી માંગ