શું છે મહિલા અનામત બિલ, કોંગ્રેસથી માંડીને ભાજપના શાસનમાં અત્યાર સુધી શું શું થયુ? અહીં સમજો બધુ
Women Reservation Bill: દેશમાં મહિલા અનામત બિલ પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ આનો શ્રેય લેવા નિવેદનબાજી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સોનિયા ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે આ અમારું પોતાનું બિલ છે.
શાસક પક્ષના નેતાઓ આનો શ્રેય પીએમ મોદીને આપતા જોવા મળી રહ્યા છે. આવો જાણીએ શું છે મહિલા અનામત બિલ? કોંગ્રેસના શાસનમાં ભાજપના શાસનમાં અત્યાર સુધી શું થયું...

શું છે મહિલા અનામત બિલ?
મહિલા અનામત બિલમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો પ્રસ્તાવ છે. જો કે, આ 33 ટકા ક્વોટામાંથી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો પર અનામતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ બિલમાં એવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવી જોઈએ. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, હાલમાં લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 78 છે, જે કુલ સાંસદોની સંખ્યાના 15 ટકા છે. વળી, રાજ્યસભામાં 14 ટકા મહિલા સાંસદ છે.
1996થી અત્યાર સુધી શું થયું
- મહિલા આરક્ષણ બિલ 1996થી અટવાયેલું છે.
- એચડી દેવગૌડા સરકારે 12 સપ્ટેમ્બર 1996ના રોજ સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું પરંતુ તે સમયે તે પસાર થઈ શક્યું ન હતું.
- ત્યારબાદ અટલ બિહારી વાજપેયી સરકારે તેને 1998માં લોકસભા રજૂ કર્યુ હતુ પરંતુ ઘણા પક્ષોના વિરોધને કારણે ફરીથી પસાર થઈ શક્યું ન હતું.
- વાજપેયી સરકારે 1999, 2002 અને 2003-2004માં પણ તેને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિરોધના કારણે તે અટકી ગયો હતો.
- આ પછી, યુપીએ સરકારે આ બિલને 2008માં 108માં બંધારણીય સુધારા બિલ તરીકે રાજ્યસભામાં રજૂ કર્યું હતું, જ્યાં આ બિલ 9 માર્ચ, 2010ના રોજ પ્રચંડ બહુમતીથી પસાર થયું હતું અને આ દરમિયાન ભાજપ, ડાબેરી પક્ષો અને જેડીયુએ બિલને સમર્થન આપ્યું હતું.
- આ પછી યુપીએ સરકાર આ બિલને લોકસભામાં રજૂ કરી શકી ન હતી કારણ કે ત્યારપછી તેનો વિરોધ જોર પકડ્યો હતો. સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળે તેનો વિરોધ કર્યો હતો, ત્યારપછી કોંગ્રેસ ડરના કારણે તેને લોકસભામાં રજૂ કરી શકી નહોતી.
- 2014માં લોકસભાના વિસર્જન પછી, આ બિલ આપોઆપ સમાપ્ત થઈ ગયું પરંતુ રાજ્યસભા એક કાયમી ગૃહ છે, તેથી આ બિલ હજી પણ ત્યાં માન્ય છે.












Click it and Unblock the Notifications
