રાજસ્થાનમાં રાહુલની ત્રાડ : વિરોધીઓની ટીકાઓ સ્વીકારીશું નહીં
સલુમ્બર/ઉદયપુર, 11 સપ્ટેમ્બર : કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારના આજે શ્રીગણેશ કરી દીધા છે. તેમણે એમના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ એમની પાર્ટીને સત્તા પર પાછી લાવે. આ સાથે તેમણે કોંગ્રેસ કાર્યકરોને લલકારીને જણાવ્યું છે કે તેઓ વિરોધીઓની ટીકાઓનો સ્વીકાર કરશે નહીં.
ઉદયપુર પાસે આવેલા સલુમ્બરમાં કોંગ્રેસની એક રેલીને સંબોધિત કરતાં રાહુલે જણાવ્યું કે "મારી પાર્ટીએ દિલ્હી અને રાજસ્થાનમાં આમ આદમી માટે કામ કર્યું છે. અમે ગરીબો માટે કામ કર્યું છે. અમે દેશ માટે કામ કર્યું છે. હું તમારા સપનાંઓને સાકાર કરવા માટે મારા પોતાના સપનાંને છોડી દેવા તૈયાર છું. તમે અમારી ટીકા કરવા માગતા હો તો તમે એ કરી શકો છો, પણ અમે તે સ્વીકારીશું નહીં, કારણ કે અમે કોંગ્રેસના સાચા સૈનિકો છીએ."

રાહુલે રેલીમાં એક નવું સૂત્ર પણ આપ્યું છે. આ સૂત્રમાં રાહુલે જણાવ્યું છે કે 'ત્રણ-ચાર રોટી ખાવ અને કોંગ્રેસને ફરી સત્તા પર લાવો.' રાહુલ ગાંધીની ઉદયપુર રેલી મુખ્ય વિરોધ પક્ષ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જયપુરમાં તેમની પાર્ટી માટે યોજેલી રેલીનો જવાબ હતી.
ચૂંટણી પ્રચાર માટે રાહુલ 17 સપ્ટેંબરે રાજસ્થાનના બારન નગરમાં એક રેલીને સંબોધિત કરવાના છે. જ્યારે રાહુલના માતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ રાજસ્થાનમાં પાર્ટી માટે બે રેલીને સંબોધિત કરવાનાં છે.












Click it and Unblock the Notifications
