જામનગરમાં ઈન્ટર્ન ડૉક્ટરોની સ્ટાઈપેન્ડ વધારવાની માંગને લઈને એબીવીપી મેદાને
એબીવીપીએ જામનગરમાં ઈન્ટર્ન તબીબોની માંગોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.
જામનગરઃ જામનગર સહિત રાજ્યભરમાં મેડિકલ કૉલેજ સાથે તેમજ દરેક શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઈન્ટર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે. તેમની પાસે તબીબી ડિગ્રી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તબીબની ડિગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર ઉંચુ વેતન આપે છે પરંતુ આ ડિગ્રી ધરાવતા તબીબો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે. ત્યારે આ મામલે હવે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) મેદાને આવ્યુ છે.
એબીવીપીએ જામનગરમાં ઈન્ટર્ન તબીબોની માંગોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે. એબીવીપીએ આવેદનમાં જણાવ્યુ છે કે કોરોના કાળમાં પણ ઈન્ટર્ન ડૉક્ટરો તેમની ફરજ નિભાવી રહ્યા છે તેમછતાં સરકાર તરફથી પૂરતુ વળતર આપવામાં આવતુ નથી. ત્યારે ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ તરીકે મળતુ વેતન વધારીને 20 હજાર કરવામાં આવે જે વધારો માર્ચ 2020થી ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે આગામી સાત દિવસમાં આ સમસ્યાનુ નિરાકરણ નહિ આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
એબીવીપી કાર્યકર્તા કુશલભાઈએ જણાવ્યુ કે, 'એબીવીપી જામનગર શાખા દ્વારા આજરોજ જામનગરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. આવેદનપત્ર આપવા પાછળનુ કારણ એ છે કે હાલની કોરોના મહામારીમાં ઈન્ટર્ન ડૉક્ટરો પોતાનો જીવ જોખમમાં મૂકી સેવા આપી રહ્યા છે. તેમના સ્ટાઈપેન્ડ તરીકે માત્ર સાડા બાર હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે બીજી કોલેજો જેવી કે અમદાવાદ અને રાજકોટની કોલેજોમાં 50 હજાર અને તેનાથી વધુ સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તો આ ઈન્ટર્ન ડૉક્ટોરોનો શું વાંક છે. જો સાત દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.'
One Nation One Ration Card: ગુજરાત સહિત આ 9 રાજ્યોમાં લાગુ