ગુજરાતઃ જામનગરમાં સગીરા પર બે વાર બળાત્કાર, આઘાતમાં પિતાએ કરી આત્મહત્યા
સગીરા પર ચાકૂની અણીએ ધમકી આપી સતત બે વાર રેપ કરાયા બાદ પિતાએ આઘાતમાં આત્મહત્યા કરી લીધી છે.
જામનગરઃ જામજોધપુર તાલુકામાં એક સગીરા પર ચાકૂની અણીએ ધમકી આપી સતત બે વાર રેપ કરાયા બાદ પિતાએ આઘાતમાં આત્મહત્યા કરી લીધી છે. બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વરવાળા ગામે એક સગીરા પર કુતિયાણા પંથકના એક વ્યક્તિએ ચાકુની અણીએ ધમકી આપીને છેલ્લા છ મહિનામાં બે વાર દુષ્કર્મ કર્યુ. આ ઘટનાની જાણ થતા આઘાતમાં તેના પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી સમગ્ર ઘટના બહાર આવી હતી. પિતાની આત્મહત્યા બાદ સગીરાએ હિંમત કરીને બળાત્કારી સામે પોલિસ ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર આરોપી અશ્વિનભાઈ ભીમશીભાઈ વાઢિયાએ ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી છેલ્લા છ મહિનામાં બે વાર સગીરા પર રેપ કર્યો હતો. આરોપીએ આપેલી ધમકીના કારણે સગીરા કંઈ બોલી શકી નહોતી. થોડા દિવસ અગાઉ તેના પિતાને આ ઘટના અંગે જાણવા મળ્યા બાદ તેઓ આઘાત સરી પડ્યા હતા અને સતત માનસિક તણાવમાં રહેતા હતા. ત્યારબાદ તેમણેે અચાનક ઝેરી દવા પી લીધી હતી. તેમના સારવાર માટે ઉપલેટા અને બાદમાં જામનગરની જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનુ મોત થયુ હતુ.
પોલિસ તપાસમાં સગીરા પર રેપની ઘટના સામે આવતા આરોપી સામે આઈપીસીની કલમ 376(2) પોક્સો હેઠળ ગુનો નોંધી સગીરાને મેડિકલ ચેકઅપ માટે જામનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવી. આરોપી હાલમાં ફરાર છે અને પોલિસ તેની શોધખોળ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં ત્રણ દિવસમાં ગેંગરેપ બાદ સગીરા દુષ્કર્મની ઘટના સામે આવી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક ટીમની રચના કરીને આરોપીને પકડવાની કવાયત હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હાથરસ કેસમાં નવો ખુલાસો, સતત ટચમાં હતા પીડિતા અને આરોપી