આશુતોષની ઉમેદવારીના વિરોધમાં કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન
નવી દિલ્હી, પત્રકારત્વ છોડીને રાજકારણમાં પગરવ માંડનાર આશુતોષને દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવતાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકર્તાઓએ આજે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
ચાંદની ચોક લોકસભાની સીટના લગભગ 50 'આપ' કાર્યકર્તાઓએ તિલક લેન સ્થિત અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારી કોઇ 'બહાર' વ્યક્તિને ટિકીટ આપવાનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે શરૂથે 'આપ' સાથે જોડાયેલા કોઇ કાર્યકર્તાને ટિકીટ ન આપતાં એવા વ્યક્તિને ટિકીટ આપવામાં આવી છે જે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયો છે. જો કે 'આપે' કહ્યું છે કે પ્રદર્શનકારી તેમના કાર્યકર્તા ન હતા.
'આપ'ની દિલ્હી એકમના મીડિયા કોઓર્ડિનેટર દિલીપ પાંડેએ કહ્યું હતું કે અમારા કાર્યકર્તા કપિલ સિબ્બલની વિરૂદ્ધ કોઇ કદાવર ઉમેદવાર ઉતારવા માંગે છે. એટલા માટે અમે આશુતોષના નામનો ફેંસલો કર્યો છે. પ્રદર્શન કરી રહેલા લોકો અમારા કાર્યકર્તા નથી. પાર્ટી દ્વારા લોકસભાની 20 સીટો માટે ઉમેદવારોનું નામ જાહેર કર્યા બાદ કાર્યકર્તામાં થોડી નારાજગી જોવા મળી રહી છે.