ભાજપે ખોલી 'આપ'ની પોલ, રજૂ કર્યા 'કેજરીવાલ સરકારના 30 દિવસોમાં 30 જુઠ્ઠાણાં'
નવી દિલ્હી, 29 જાન્યુઆરી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પોતાનો એક મહિનો પુરો કરી લીધો છે. વિરોધી કોંગ્રેસના સમર્થનમાં બનેલી આપ સરકારનું ભવિષ્ય દર વખતે અસભંવનાઓથી ઘેરાયેલું છે, તેમછતાં તેમણે પોતાનો એક મહિનો પુરો કરી લીધો. એક તરફ અરવિંદ કેજરીવાલ એક મહિનાના રિપોર્ટ કાર્ડમાં પોતાને ફર્સ્ટ ડિવીઝન પાસ માની રહ્યાં છે તો બીજી તરફ વિરોધી ભાજપ તેમને ખોટા ગણાવી રહી છે.
ભાજપે આપની સરકારની પોલ ખોલતાં તેમના 30 દિવસના શાસનકાળના 30 જુઠ્ઠાણાં રજૂ કર્યા છે. વિપક્ષના નેતા ડૉ. હર્ષવર્ધને કેજરીવાલ સરકારનો એક મહિનો પુરો થતાં '30 દિવસના 30 જુઠ્ઠાણા'નો ડ્રાફ્ટ રજૂ કર્યો. હર્ષવર્ધને કહ્યું હતું કે સરકારની કથની અને કરણીમાં અંતર છે, આ વાત ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
હર્ષવર્ધને કેજરીવાલ અને કોંગ્રેસની સાંઠ-ગાંઠ પર નિશાન સાધ્યું હતું, પાણી-વિજળીના મુદ્દે પ્રહાર કર્યા હતા. મહિલા સુરક્ષા પર નિશાન સાધતાં કહ્યું હતું કે દિલ્હીની સરકાર દરેક મોરચે નિષ્ફળ રહી છે.
આપ પર હુમલો કરતાં ભાજપના નેતાએ કહ્યું હતું કે મહિલા સુરક્ષા માટે અત્યાર સુધી કમાન્ડોની ટુકડી રચવામાં આવી નથી. રામલીલા મેદાનમાં વિધાનસભાની બેઠક બોલાવીને જન લોકપાલ બિલ મંજૂર કરાવવાનો ચૂંટણી વાયદો પુરો કર્યો નથી. સરકારે વીઆઇપી કલ્ચર ખતમ કરવાની વાત કહી હતી, પરંતુ મંત્રીઓએ વીઆઇપી નંબરોવાળી મોંધી ગાડીઓ લીધી. ભાજપના નેતાએ એક પછી એક સરકાર અને તેમના મંત્રીઓની નિષ્ફળતાઓને લોકો સમક્ષ રજૂ કરી હતી. સોમનાથ ભારતીના મુદ્દાને ઉપાડેને ભાજપે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા.