મુલાયમ સિંહે સંસદમાં કહ્યું, બેની પ્રસાદની ઔકાત શું છે?
નવી દિલ્હી, 18 માર્ચ: સોમવારે લોકસભામાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને કેન્દ્રિય મંત્રી બેની પ્રસાદ વર્મા આમને સામને આવી ગયા છે. બંનેએ એકબીજા પર આકરા પ્રહારો કર્યા છે. આ મુદ્દે સદનમાં સમાજવાદી પાર્ટીના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. હોબાળો શાંત ન થતાં લોકસભા અધ્યક્ષ મીરા કુમારને સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. મુલાયમ સિંહે લોકસભામાં બેની પ્રસાદને ત્યાં સુધી કહી દિધું હતું કે તેમની ઔકાત શું છે, તે પોતાની જાતને શું સમજે છે. ત્યારબાદ સમાજવાદીએ બેની પ્રસાદ વર્માને મંત્રી પદેથી રાજીનામું આપવાની માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બેની પ્રસાદ વર્મા પોતાના લોકસભા વિસ્તાર ગોંડામાં એક રેલીને સંબોધતાં મુલાયમ સિંહને લુટારા અને આતંકવાદીને મદદ કરનાર વ્યક્તિ ગણાવ્યા હતા. આ આરોપોથી ભડકેલા મુલાયમ સિંહે લોકસભામાં બેની પ્રસાદ વર્મા પર હુમલો કર્યો પરંતુ કેન્દ્રિય મંત્રી બેની પ્રસાદે મુલાયમ સિંહને આકરો જવાબ આપ્યો. તેમને કહ્યું હતું કે મેં જે કહ્યું હતું તેના પર અટલ છું.
તેમને કહ્યું હતું કે 'આતંકવાદનો કોઇ ધર્મ કે જાતિ હોતી નથી પરંતુ મુલાયમ સિંહ આતંકવાદીઓને મદદ કરે છે. ગોધરા બાદ મુલાયમ સિંહે ગુજરાત વિધાનસભાની ચુંટણી લડી અને નરેન્દ્ર મોદી મદદ કરી હતી. બેની પ્રસાદ વર્માએ કહ્યું હતું કે 'મુલાયમ સિંહે કલ્યાણ સિંહ જેવા લોકો સાથે હાથ મિલાવ્યો જેમને બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી. આ હોબાળા અને નારેબાજી વચ્ચે અધ્યક્ષે અન્ય સદસ્યોને શૂન્યકાળ હેઠળ પોતાના મુદ્દા રજૂ કરવાની પરવાનગી આપી હતી પરંતુ હોબાળો ચાલુ રહેતાં થોડી વાર બાદ તેમને બેઠક બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દિધી હતી.
મુલાયમ સિંહની બરખાસ્ત કરવાની માંગ પર બેની પ્રસાદે કહ્યું હતું કે મને હટાવવાની માંગ કરનાર મુલાયમ સિંહ કોણ છે. બેની પ્રસાદ હાલમાં યુપીએ સરકારમાં સ્ટીલ મંત્રી છે. તે કોંગ્રેસમાં છોડાયા તે પહેલાં સમાજવાદી પાર્ટીમાં હતા.